Monday, February 27, 2012

ગીર જંગલમાં મોટાભાગની નદીઓ ખાલી ખમ.


Source: Bhaskar News, Visavadar   |   Last Updated 12:31 AM [IST](26/02/2012)
- પશુ-પક્ષીઓ માટે પીવાના પાણીનાં સ્ત્રોત ઉભા કરવાની તાતી જરૂરિયાત, વન વિભાગ નિષ્ક્રિય
ઉનાળાનાં આગમન પૂર્વે જ ગીર જંગલમાં મોટા ભાગની નદીઓ ખાલી ખમ્મ થઇ જતાં વન્યપ્રાણી-પક્ષીઓ માટે પીવાના પાણીનાં સ્ત્રોત ઉભા કરવાની તાતી જરૂરીયાત છે. પરંતુ આ મહત્વના મુદ્દે વન વિભાગ નષ્ક્રિીય ભૂમિકા ભજવતું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગીર જંગલ અને વન્યપ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે. પરંતુ મોટાભાગની કામગીરીઓ માત્ર કાગળ ઉપર જ થઇ જતી હોય છે. વધુમાં મળતી વિગત મુજબ ગીર જંગલમાં મોટાભાગની નદીઓ ખાલી ખમ્મ થઇ ગઇ હોવાનું જાણવા મળેલ છે. પરંતુ વન્ય પ્રાણીઓ માટે પાણીનાં નવા સ્ત્રોત ઉભા કરવા સામે વનવિભાગ બેદરકાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સમગ્ર ગીર જંગલમાં અંદાજીત ૩૦૦ જેટલા પાણીનાં પોઇન્ટો બનાવવામાં આવ્યા છે અને વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે જે વિસ્તારોમાં પાણીનાં કુદરતી સ્ત્રોત ખૂટી ગયા હોય તેવા વિસ્તારોમાં તાત્કાલીક પાણીનાં નવા સ્ત્રોત ઉભા કરવા આદેશો છુટયા હોવા છતાં આ કામગીરી કરવામાં વન વિભાગનો સ્ટાફ હજુ પણ નષ્ક્રિીય ભૂમિકા જ હોવાનું જાણવા મળે છે.
મજૂરોને માસીક સાડાચાર હજાર વેતન પણ કામગીરી ક્યાં -
પાણીનાં પોઇન્ટો ભરવા માટે મજુરો રાખવામાં આવે છે અને માસીક રૂ.સાડા ચાર હજારનું વેતન પણ ચૂકવવામાં આવે છે પરંતુ ખરેખર કામગીરી થાય છે? તેવાસવાલો પણ વન્ય પ્રાણી પ્રેમીઓમાંથી ઉઠયા છે.
અવેડાઓ પણ કાગળ ઉપર બની ગયા છે -
પાણીનાં પોઇન્ટ (અવેડો) નજીક કુવા અને ડંકીઓ હોય છે. મજુરોએ એકવાર અવેડો સાફ કરીને તેમાં પાણી ભરવાનું હોય છે. પરંતુ આવા અવેડાઓ પણ કાગળ પર જ બન્યા હોવાના લોકોમાંથી આક્ષેપો થઇ રહ્યા છે.
વન્ય પ્રાણીઓને ખેતરોમાં પાણી પીવા જવું પડે છે -
જંગલમાં પીવાના પાણીના સ્ત્રોત ન હોવાથી બોર્ડર નજીકનાં આવેલા ખેતરો-વાડીઓમાં વન્યપ્રાણીઓ પ્યાસ બુઝાવવા પહોંચી જતાં હોય છે. ખેતરોમાં આવેલા અવેડામાં દવાના પંપો અને ખેત ઓજારો ધોવામાં આવતા હોય છે ત્યારે કેટલાક અવેડાનું પાણી મજુરો માટે જોખમી પણ બની શકે છે. આ ઉપરાંત સીમ વિસ્તારમાં વન્ય પ્રાણીઓનાં આંટાફેરાથી માનવ હુમલાના બનાવો પણ વધ્યા છે.

No comments: