Wednesday, April 11, 2012

બૃહદ ગીરને શા માટે જંગલ વિસ્તાર જાહેર કરાતો નથી ?


અમરેલી,તા,પઃ
બૃહદ ગિર જંગલ વિસ્તાર જાહેર કરવાની લાંબા સમયની માગણી કાને ધરવામાં આવતી નથી. જંગલમાંથી લીલિયાના ક્રાંકચ અને શેત્રુજી કાંઠે વસેલા પચ્ચીસ સિંહ પરિવારોને પાણી અને આગની સમસ્યા કનડી રહી છે. વનતંત્રએ ગંભીરતાથી નોંધ લઈ પગલાં ભરવા જરૂરી છે. વારંવાર દવની ઘટનાથી સિંહોને સ્થળાંતરની ફરજ પડે છે.
  • જંગલમાંથી લીલિયાના ક્રાંકચ અને શેત્રુજી કાંઠે વસેલા પચ્ચીસ જેટલા સિંહ પરિવારોને પાણી, આગ, સુરક્ષા સહિતની સમસ્યા કનડે છે
વર્ષા પહેલાં ધારી ગીરના જંગલમાંથી નિકળીને બહારના વિસ્તારમાં આવી ગયેલા કેટલાક સિંહો અમરેલીના ચાંદગઢ, સાવરકુંડલાના કેટલાક વિસ્તારો તેમજ લીલિયાની શેત્રુજીના કાંઠે અને જાફરાબાદની સીમમાં સિંહોએ પોતાનો વસવાટ કાયમી કરી નાખી ઘર બનાવી લીધા છે. આ વિસ્તાર   બૃહદ ગિર તરીકે વિસ્તરી રહ્યો છે. વર્ષા પહેલાં સ્થાયી થયેલા સિંહોનો પરિવાર દિવસે દિવસે વધી રહ્યો છે. સૌથી વધુ લીલિયાના ક્રાંકચની સીમમાં અને શેત્રુંજીના કાંઠે કાંઠે પચ્ચીસ ઉપરાંતના સિંહોનો વસવાટ થઈ ગયો છે. આ વિસ્તારમાં તેને ખોરાક સારો એવો મળી
રહ્યો છે. અહીં હજારોની સંખ્યામાં રોજ, રેઢીયાળ પશુઓનો શિકાર કરી નદી કાંઠે વસતા સિંહો ગીરના સિંહો કરતા તંદુરસ્ત છે. સિંહોને ખોરાક પૂરતા પ્રમાણમાં મળે છે પણ ધારીનો વિસ્તાર ખારાપાનો હોય શેત્રુજીના પાણી ખારા હોય સિંહોને ફરજીયાત ખારૂ પાણી પીવું પડે છે. વનવિભાગે ઠેર ઠેર કુંડીઓ મુકી છે પરંતુ પાણી કોઈ ભરતુ નથી. જેથી ક્રાંકચ ગામના કેટલાક સેવભાવિ યુવાનોએ શેત્રુંજીના પટમાં વિરડાઓ બનાવી મીઠા પાણીની કુંડીઓ ભરવા માણસો રાખ્યા છે.
શેત્રુજી નજીક બાવળની કોટમાં, ક્રાંકચની સીમમાં, કતપરની સીમમાં છેલ્લા ત્રણ વર્ષથી ઉનાળાના સમયમાં વારંવાર દવ લાગવાની ઘટના બને છે. જેના હિસાબે સિંહોને ફરજીયાત પોતાના રહેણાંક આગમાં ભુંજાય જવાથી નવા રહેણાંક માટે અન્ય સ્થળે જવું પડે છે. અને નવેસરથી વસવાટ શરૂ કરવો પડે છે. એક તરફ ૪ર ડિગ્રીની ગરમી તેમાં ઘરબાર વગરના સિંહો અકળાઈ ઉઠે છે.
લીલિયાના ક્રાંકચ, ભોરીગડા, ટીંબડી, બવાડી, આંબા, નાના લીલિયા, શેઢાવદર, ચાંદગઢ વિસ્તારમાં વસતા સિંહો હાલ અમરેલી વિસ્તરણ રેન્જ વિભાગમાં આવે છે. વન વિસ્તરણ વિભાગની કામગીરી માત્ર ફળ, ઝાડ, રોપ ઉછેરવાની હોય છે નહીં કે સિંહોની, પણ એ આ વિસ્તારમાં સાવજો વધી જતાં તેની સલામતી માટે આ તમામ વિસ્તારને ધારી ગીરની નોર્મલ રેન્જમાં સમાવી લેવામાં આવે તો સિંહોની સલામતી વધી જાય, પૂરતો સ્ટાફ મુકાય જેનાથી સિંહોની દેખરેખ રહે તેવી પ્રકૃતિ પ્રેમીઓની માંગ છે.
સિંહ દર્શન માટે ઘૂસી આવતા લોકો પર રોક લગાવવી જરૂરી
અમરેલીઃલીલિયાના ક્રાંકચ અને શેત્રુજી કાંઠા વિસ્તાર નોર્મલ રેન્જ ન હોવાના કારણે આખો વિસ્તાર રેઢો પટ હોય તેમ લોકો મારણ વખતે સિંહ દર્શન કરવા ઘૂસી જાય છે. જેનાથી સિંહોને ખલેલ પહોંચે છે. મારણ પર બેઠેલા સિંહોની ઉપર વાહનો ચલાવવા, પાછળ વાહનો દોડાવવાની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. આવા વિધ્નસંતોષી શખ્સો સામે પગલાં ભરવા જરૂરી બન્યા છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=48488 

No comments: