Thursday, July 5, 2012

મારણમાં ખલેલ પહોંચાડનાર દીપડાને સિંહે પીંખી નાખ્યો.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:09 AM [IST](05/07/2012)

- વિસાવદરના રેવન્યુ વિસ્તારમાં સિંહ-દીપડા વચ્ચે ઇનફાઇટ

ચોમાસાની સીઝન વન્યજીવો માટે મેટિંગ પીરીયડ મનાય છે. આથી તેઓ વચ્ચે ઇન્ફાઇટનાં બનાવો પણ વધુ બનતા હોય છે. આવો જ એક બનાવ વિસાવદર રેન્જ હેઠળ આવતા જેતલવડ ગામનાં ગૌચરમાં બન્યો હતો. જેમાં મારણની મજિબાની માણતા સિંહ યુગલને ખલેલ પહોંચાડનાર દીપડાને સિંહે ‘સજા-એ-મોત’ ફરમાવી હતી. સિંહ સાથેની ઇન્ફાઇટમાં દીપડાનું મૃત્યુ થયું હતું.

વિસાવદર રેન્જ હેઠળ આવતા જેતલવડનાં રેવન્યુ વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી એક સિંહ યુગલે પડાવ નાંખ્યો છે. આ યુગલનો મેટિંગ પીરીયડ ચાલી રહ્યો છે. બે દિવસ પહેલાં આ સિંહ યુગલે જેતલવડ ગૌચરમાં ધ્રાફડ નદી નજીક સોસરીયું નેરૂ પાસે ગાયનું મારણ કર્યું હતું. તેની મજિબાની માણતી વખતે જ ૩ થી ૪ વર્ષનો નર દીપડો આવી ચઢ્યો. તેણે મજિબાનીમાં ખલેલ પહોંચાડતાં સિંહ વફિર્યો હતો. અને દીપડા પર હુમલો કર્યો હતો. દીપડાએ પણ પ્રતિકાર કર્યો હતો.

જોકે, વનરાજની તાકાત પાસે તે ‘ટૂંકો પડ્યો’ હતો. જંગલનાં ‘રાજપ્તની પરંપરા મુજબ, બંને વચ્ચેની લડાઇનો અંત દીપડાનું મૃત્યુ થયું ત્યારે જ આવ્યો હતો. બનાવની જાણ થતાં એ.સી.એફ. ઠુમર, આર.એફ.ઓ. એન. એમ. જાડેજા, સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને નીરીક્ષણ કરી સક્કરબાગ ઝૂનાં વેટરનરી તબીબ ડૉ. કડીવાલને બોલાવ્યા હતા. ડૉ. કડીવાલે ઘટનાસ્થળે જ દીપડાનાં મળેલા અવશેષોનું પી.એમ. કરી સ્થળ પર જ અગ્નિદાહ દીધો હતો.

- દીપડાનું ફકત માથું જ મળ્યું

જાણવા મળ્યા મુજબ, સિંહ યુગલ જ્યારે મેટિંગમાં હોય ત્યારે ૧૦ થી ૧૨ દિવસ મારણ કરતું નથી. સંવનન બાદ તેઓ ભૂખ્યા થાય હોય છે. એ વખતે તે તાત્કાલિક મારણ કરે છે. આ કિસ્સામાં બંનેએ ગાયનું મારણ કરી પેટની આગ બૂઝાવતા હશે એ જ વખતે દીપડાએ તેમાં ખલેલ પડતાં સિંહે ક્રોધાવેશમાં તેનો પણ શિકારી કરી ‘ભક્ષણ’ કરી નાંખ્યું હતું.

No comments: