Wednesday, July 25, 2012

જૂનાગઢના ઉપરકોટમાં ઉભું કરાયું ૧૧ હજાર દેશી વૃક્ષોનું અનોખું વન.


જૂનાગઢ, તા.૨૪
પોતાના સ્વાર્થ ખાતર આજનો માનવી આડેધડ વૃક્ષો કાપી રહ્યો છે. પરિણામે ઋતુ ચક્ર ખોરવાયું છે. લોકોમાં વૃક્ષ ઉછેર પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી જૂનાગઢ વનવિભાગે ઉપરકોટમાંથી ઝાડી ઝાંખરા દુર કરી ૧૧ હજાર વૃક્ષો વાવી દેશી વૃક્ષોનું વન ઉભું કર્યું છે. વૃક્ષારોપણના આ અભિયાન અંતર્ગત વૃક્ષ ઉછેરમાં પાયાનું કામ કરનાર વ્યક્તિને વન પંડિત એવોર્ડ એનાયત કરાશે.
  • લોકોમાં વૃક્ષ ઉછેર પ્રત્યે જાગૃતિ લાવવા માટે
  • વૃક્ષ ઉછેરમાં પાયાનું કામ કરનારને વન પંડિત એવોર્ડથી સન્માનીત કરાશે
મહાનગરોમાં વિકાસના નામે વૃક્ષોનો વિનાશ થઈ રહ્યો છે. મોટા - મોટા શહેરોમાંથી લગભગ વૃક્ષો કપાઈ ગયા છે. અને વૃક્ષોના સ્થાને મોટી - મોટી ઈમારતો ઉભી કરી દેવાઈ છે.
ત્યારે જૂનાગઢ જિલ્લામાં વાવે ગુજરાત અભિયાન અંતર્ગત લોકોમાં વૃક્ષ ઉછેર પ્રત્યે જાગૃતિ આવે અને વૃક્ષારોપણ સામુહીક વનીકરણ ઝુંબેશ થાય તે માટે જૂનાગઢ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત વનવિભાગે તાજેતરમાં ઉપરકોટની ૮ હેકટર જમીનમાં ઝાડી - ઝાંખરા દુર કરી જમીન સમથળ બનાવી હતી. ત્યારબાદ આ ૮ હેકટર જમીનમાં ૧૧ હજાર દેશીકુળના વૃક્ષો વાવવામાં આવ્યા હતાં.
આ વૃક્ષોને પાણી મળી રહે તે માટે ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવાશે. આ તમામ વૃક્ષોના ઉછેરમાં પાયાનું કામ કરનાર વ્યક્તિને વનપંડિત એવોર્ડ એનાયત કરાશે. આ તમામ આયોજનોને મુર્ત સ્વરૂપ આપવા માટે તાજેતરમાં જૂનાગઢ વન વિભાગના નાયબ વન સંરક્ષક આર.ડી. કટારા અને અન્ય વનકર્મીઓની બેઠક મળી હતી.
http://www.sandesh.com/article.aspx?newsid=75757

No comments: