Saturday, July 7, 2012

ધારીના આંબરડીમાં મોટાપાયે ખનીજ ચોરી છતાં તંત્ર બેધ્યાન.


ધારી,તા,૫:
ધારીના આંબરડીમાં તંત્રની મીઠી નજર હેઠળ મોટાપાયે ખનીજ ચોરી થતી હોવાની લોક ફરિયાદ ઉઠવા પામી છે. ખનીજ ચોરો સામે પગલાં લેવામાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાનું ચર્ચાય છે.
·         સિંહ દર્શન માટે આવતા ઉચ્ચ અધિકારીઓનું પણ ભેદી મૌન
·         તંત્રની મીઠી નજર હેઠળ ચાલતા ગોરખધંધા
ધારી તાલુકાના આંબરડી ગામે છેલ્લા ઘણાં સમયથી નદી કાંઠે ખનીજ ચોરી થઈ રહી છે. તંત્રના ધ્યાનમાં હોવા છતાં કોઈપણ જાતના પગલાં લેવામાં આવતા નથી. આંબરડીમાં ખાણ ખનીજ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સિંહ અને દીપડાના દર્શન માટે આવે છે બધુ જ જૂએ છતાં બેધ્યાન બની તમાશો નિહાળે છે.આ ઉપરાંત અધિકારીઓ આંબરડીના લોકો મનફાવે તેવું વર્તન કરતા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. આંબરડીમાં ખાણ ખનીજ ખાતા દ્વારા તપાસ કરવામાં આવે તો મોટાપાયે ખનીજ ચોરી પકડાવાની સંભાવના છે.આ વિસ્તારમાં દરરોજ વાહનો દ્વારા ખનીજ ભરીને લઈ જવામાં આવે છે. નદી કાંઠેથી સતત વાહનોની અવરજવર જોવા મળે છે.
આ બાબતે અવારનવાર સંબંધિત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી. બેરોકટોક ખનીજની ચોરી થઈ રહી છે. તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં આવતા નહીં હોવાથી લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળે છે.ધારી વિસ્તારના આંબરડીમાં ખનીજ ચોરી અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=70732

No comments: