Monday, July 30, 2012

પર્યાવરણ રેલી યોજી વિદ્યાર્થીઓએ શાળા - કોલેજોમાં કર્યું વૃક્ષારોપણ.



જૂનાગઢ, તા.૨૯:
પર્યાવરણની અસમતુલાના કારણે વરસાદ સહિતનું ઋતુ ચક્ર ખોરવાઈ રહ્યું છે. ત્યારે પર્યાવરણની જાગૃતિ માટે જૂનાગઢમાં વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર સાથે શહેરના માર્ગો ઉપર રેલી યોજીને જુદી જુદી શાળા-કોલેજોમાં જઈને વૃક્ષારોપણ કર્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓએ જીવનપર્યંત વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ પણ લીધો હતો.
·         જીવનપર્યંત વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ લઈને
·         જૂનાગઢના ડો.સુભાષ ટેકનિકલ કેમ્પસ દ્વારા યોજાયો અનોખો કાર્યક્રમ
સમગ્ર વિશ્વને ગ્લોબોલ વોર્મિગથી બચાવવા માટે આજના સમયમાં વૃક્ષારોપણ તાતી જરૂરિયાત બની ગયું છે. જૂનાગઢ શહેરમાં ડો.સુભાષ ટેકનિકલ કેમ્પસના એન.એસ.એસ. યુનિટ દ્વારા આ અંગેનો એક અનોખો જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના વિદ્યાર્થીઓએ બહાઉદ્દીન કોલેજ તેમજ જુદી જુદી શાળા-કોલેજો અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જઈને અન્ય વિદ્યાર્થીઓ સાથે મળી વૃક્ષારોપણ કર્યું હતું. પર્યાવરણ બચાવવાનો સંદેશ લોકો સુધી પહોંચે તેના માટે સંસ્થાના વિદ્યાર્થીઓએ શહેરના માર્ગો ઉપર સુત્રોચ્ચાર સાથે રેલી પણ યોજી હતી. તથા સમગ્ર જીવન દરમિયાન વૃક્ષોનું જતન કરવાના શપથ લીધા હતાં.
આ કાર્યક્રમમાં સંસ્થાની એન્જીનીયરીંગ, ફાર્મસી, એમ.સી.એ., એમ.બી.એ. ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જોડાયા હતાં. કાર્યક્રમની શરૂઆત નાયબ વન સંરક્ષક આર.ડી. કટારાના હસ્તે કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચીફ કો.ઓર્ડિનેટર પ્રો.ડી.ડી.પટેલ તથા એન.એસ. એસ.ના પ્રોજેક્ટ ઓફિસર જી.એ. મારૂ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ બદલ સંસ્થાના પ્રમુખ પેથલજીભાઈ ચાવડા, ટ્રસ્ટી જવાહરભાઈ ચાવડા અને ડાયરેક્ટરોએ સમગ્ર ટીમને બિરદાવી હતી.

No comments: