Monday, April 29, 2013

ખાંભાના ધાવડીયામાં ચાર સાવજોએ કર્યું પાંચ ગાયનું મારણ.


Bhaskar News, Khambha | Apr 10, 2013, 00:13AM IST
- એક સાથે પાંચ ગાયના મારણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ

ખાંભા તાલુકાના ધાવડીયા ગામે મોડી સાંજના ચાર સાવજો દ્વારા પાંચ ગાયોના મારણ કરવામાં આવતા હાહાકાર મચી ગયો હતો. ચાર સાવજો ભરવાડના જોકમાં કુદીને પાંચ ગાયોનો શિકાર કર્યો હતો. ચાર સાવજો ગામમાં ચડી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી છે.

ગીર જંગલમાંથી ખાંભા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર સાવજો આવી ચડે છે. જેના કારણે લોકો વાડી ખેતરોમાં જતા પણ ભય અનુભવી રહ્યાં છે. ત્યારે આજે મોડી સાંજના ચાર સાવજો ખાંભાના ધાવડીયા ગામે આવી ચડયા હતા. ચાર સાવજોએ અહી રહેતા નાથાભાઇ ભરવાડના જોકમાં કુદીને પાંચ ગાયોને ફાડી ખાધી હતી.

ગામમાં ચાર સાવજોએ પાંચ ગાયોનુ મારણ કરતા હાહાકાર મચી ગયો હતો. આ અંગે નાથાભાઇએ વનવિભાગને જાણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાંભા સહિત તાલુકાના ગામડાઓમાં અવારનવાર જંગલમાંથી સાવજો આવી ચડે છે. અને દુધાળા પશુઓનુ મારણ કરે છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં દપિડાઓ પણ આવી ચડે છે. અને અનેક કિસ્સામાં માણસ પર પણ હુમલાની ઘટનાઓ બને છે. ખાંભા પંથકમાં અવારનવાર વન્યપ્રાણીઓ આવી જતા હોય ખેડુતો રાત્રીના વાડી ખેતરોમાં જતા ભય અનુભવે છે.

No comments: