Thursday, April 4, 2013

રૂપાયતન નજીક સાત સાવજોનું ટોળું આવી ચઢ્યું, બે સેમરોનું કર્યું મારણ.

Bhaskar News, Junagadh | Apr 04, 2013, 00:44AM IST
- બે સેમરોનું મારણ કર્યું : લોકોનાં ટોળા ઉમટી પડ્યા

જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં આવેલા રૂપાયતન નજીક મોડી સાંજનાં સાત સિંહે બે સેમરનું મારણ કર્યું હતું. આ ધટનાની જાણ વાયુ વેગે ફેલાય જતાં લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા.

ગીર જંગલ અભ્યારણ વિસ્તારની આસપાસ ઘણી વખત વન્ય પ્રાણીઓ આવી ચઢી આવતાં હોય છે. ખાસ કરીને ઊનાળા દરમિયાન આ વન્ય પ્રાણીઓ જંગલની બહાર ટહેલવા પહોંચી જાય છે. ત્યારે આજે મોડી સાંજનાં રૂપાયતન નજીક સાત સિંહનું ટોળું આવી ચઢયું હતું અને આ વિસ્તારમાં આંટા ફેરા શરૂ કર્યા હતા. તે દરમિયાન બે સેમર નજરે પડતાં સાત સિંહોએ સેમર પર હુમલો કર્યો હતો. આ સેમરોએ બચવા માટે વિસ્તારમાં દોડા-દોડી કરી મુકી હતી. પરંતુ સાત સિંહો સામે તેની કારી ફાવી ન હતી.

આ સાત સિંહો બે સેમરનો શિકાર કરી ગયા હતા. આ ધટનાની જાણ વાયુ વેગે શહેરમાં ફેલાઇ જતાં લોકોનાં ટોળે-ટોળાં ઉમટી પડ્યા હતા. તેમજ આ બનાવની જાણ વન વિભાગને થતાં વન વિભાગનો સ્ટાફ પણ ધટના સ્થળે દોડી ગયો હતો અને લોકોએ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો.

આ અંગે દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ મારૂએ જણાવ્યું હતું કે, શિકાર નિહાળવા લોકો શહેરમાંથી આવી ગયા હતા. તેને ધ્યાને રાખી તાત્કાલિક વન કર્મીઓને ધટના સ્થળે તહેનાત કરી દીધા હતા અને મારણને જંગલમાં દૂર ખસેડી દેવામાં આવ્યા હતા.

No comments: