Tuesday, April 30, 2013

ગિર સિંહનું મધ્યપ્રદેશ સ્થળાંતર નહી ઠેર-ઠેર પોસ્ટ કાર્ડ ઝૂંબેશ.


Bhaskar News, Khambha | Apr 29, 2013, 23:49PM IST
- ગીર નેચર યુથ કલબ દ્વારા એક હજાર પોસ્ટકાર્ડ લખી મુખ્યમંત્રીને રજૂઆત
 
તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ગીરના સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાના નિર્ણય સામે ઠેરઠેરથી ઉગ્ર વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે ખાંભામાં પણ ગીર નેચર યુથ કલબ દ્વારા રાજયના મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન એક હજાર જેટલા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા.
 
સુપ્રિમ કોર્ટ દ્વારા ગીરમાં વસતા સાવજોને મધ્યપ્રદેશના જંગલમાં સ્થળાંતર કરવા બાબતે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયનો રાજયભરમાંથી ઉગ્ર વિરોધ ઉઠયો છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ ઠેરઠેર આવેદનપત્રો પાઠવી સરકારમાં રજુઆત કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા રીટ પીટીશન કરવા અને લોકોમાં સિંહોના સ્થળાંતર અંગે લોકજાગૃતિ આવે તે માટે ખાંભામાં ગીર નેચર યુથ કલબ દ્વારા પોસ્ટ કાર્ડ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
 
ત્યારે આ પોસ્ટકાર્ડ ઝુંબેશમાં અમરેલી, ખાંભા, ઉના, રાજુલા, બગસરા, મહુવા, લાઠી, ઘાંટલા, થોરડી, રાજપરા, મોટા બારમણ સહિ‌તના ગામોના સિંહ પ્રેમીઓ દ્વારા ભારે ઉત્સાહ સાથે અત્યાર સુધીમાં એક હજાર જેટલા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા. સિંહો પ્રત્યે લોકોનો પ્રેમ અને ઉત્સાહ જોઇ ગીર નેચર યુથ કલબ દ્વારા તા. ૩૦ના રોજ પણ પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પોસ્ટકાર્ડ ઝુંબેશને સફળ બનાવવા ગીર નેચર યુથ કલબના ભીખુભાઇ બાટાવાળા, દિલીપભાઇ કાતરીયા, પરશોતમભાઇ આંબલીયા, તુષારભાઇ દેવરા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

No comments: