Sunday, July 31, 2016

ખાંભા: હનુમાનપુર ગામે દિપડાના આંતક, છ ફુટની દિવાલ કુદી વાછરડી મારી

Bhaskar News, Khambha
Jul 19, 2016, 12:56 PM IST
ખાંભા: હનુમાનપુર ગામે દિપડાના આંતક, છ ફુટની દિવાલ કુદી વાછરડી મારી
ખાંભા: ખાંભા પંથકમાં દિપડાનો ત્રાસ વધતો જાય છે. બે દિવસ પહેલા મીતીયાળા રોડ પર દિપડાએ આંતક મચાવ્યો હતો ત્યાં હવે ખાંભાના હનુમાનપુરમાં એક મકાનમાં ઘુસી દિપડાએ વાછરડીનું મારણ કર્યુ હતું. છ ફુટની દિવાલ કુદી છ માસ પહેલા પણ દિપડો અંદર ઘુસ્યો હતો અને તે સમયે પણ વાછરડી મારી હતી. 

હનુમાનપુર ગામે દિપડાના આંતકથી લોકોમાં ફફડાટનો માહોલ

ખાંભા તાલુકાના હનુમાનપુર ગામે દિપડાના આંતકથી લોકોમાં ફફડાટનો માહોલ છે. એક દિપડો ગમે ત્યારે ગામમાં આવી ચડે છે. હનુમાનપુર ગામ જંગલની નજીક આવેલુ છે. જેથી જંગલમાંથી પણ દિપડાની અવર જવર રહે છે. અહિં રેવન્યુ વિસ્તારમાં પણ દિપડાની વસતી છે. સિંહનો પણ અવાર નવાર ત્રાસ રહે છે. ત્યારે ગઇરાત્રે હનુમાનપુરમાં માલકનેસ રોડ પર રહેતા વાલજીભાઇ નરશીભાઇ કળસરીયાના મકાનમાં દિપડો ઘુસ્યો હતો. આશરે છ ફુટની દિવાલ કુદી દિપડાએ ફળીયામાં ઘુસી વાછરડાને મારી નાખ્યુ હતું. 

દિપડો અંદર ઘુસ્યો હતો અને તે સમયે પણ વાછરડી મારી

હજુ પાંચ દિવસ પહેલા જ ગાયે વાછરડાને જન્મ આપ્યો હતો. દિપડાએ વાછરડાને મારી નાખતા ગાયે દુધ આપવાનું પણ બંધ કરી દીધુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છ માસ પહેલા પણ આ જ રીતે તેમના ઘરમાં એક દિપડો ઘુસી આવ્યો હતો અને વાછરડાનું મારણ કર્યુ હતું. સીમ વિસ્તારમાં અવાર-નવાર દિપડાઓ ચઢી આવતા હોય ગ્રામજનોમાં પણ ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

No comments: