Saturday, June 9, 2012

સિંહણનાં જમણાં પગમાં ખીલી વાગતાં મોત.

Source: Dilip Raval, Amreli   |   Last Updated 1:03 PM [IST](08/06/2012)
-તો ઘાયલ સિંહણને અધિકારીઓ બચાવી શક્યા હોત

માણસને પગમાં ખીલી વાગે તો સારવાર કરાવવા જાય પણ સાવજને પગમાં ખીલી વાગે તો? સાવરકુંડલાના નાની વડાળ ગામની સીમમાં ગઇકાલે સિંહણનો મૃતદેહ મળ્યા બાદ પોસ્ટમોર્ટમ દરમીયાન આ સિંહણનું મોત પગમાં ખીલી ઘુસી જતાં આખા શરીરમાં રસી થઇ જવાના કારણે થયાનું ખુલ્યુ છે. સીમમાં જ સિંહણના મૃતદેહને સળગાવી દઇ તેનો નીકાલ કરાયો હતો.

નાની વડાળની સીમમાં મૃત્યુ પામેલી સિંહણના પોસ્ટમોર્ટમ દરમીયાન તેના પગમાંથી ખીલી મળી આવી હતી. આ સિંહણને થોડા સમય પહેલા કોઇ રીતે જમણા પગમાં ખીલી ઘુસી ગઇ હતી. જેના પગલે સિંહણના પગમાં રસી થઇ ગયું હતું. જો વન વિભાગના નજરે આ સિંહણ ચડી ગઇ હોત તો તેનો જીવ બચાવી શકાયો હોત પરંતુ તે કોઇના નજરે ન ચડતા સિંહણના આખા શરીરમાં રસી ફેલાઇ ગયું હતું. જેના પરિણામે આ સિંહણ ગઇકાલે મૃત્યુ પામી હતી.

બીજી તરફ નાની વડાળ પંથકમાં ગઇકાલે ધોધમાર વરસાદ હોય સિંહણના મૃતદેહને સલામત સ્થળે લઇ જઇ તેનુ પોસ્ટમોર્ટમ કરવુ પડયુ હતું.ગીર પૂર્વના ડીએફઓ અંશુમન શર્મા, એસીએફ ધામી તથા વેટરનરી ડૉ. હિતેષ વામજા વગેરેની ઉપસ્થિતિમાં સિંહણના મૃતદેહને સળગાવી દઇ તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

No comments: