Sunday, November 30, 2014

અમરેલી: કુંજ પક્ષીનાં છ મૃતદેહો મળી આવતા દોડધામ.

Bhaskar News, Amreli | Nov 23, 2014, 00:02AM IST
અમરેલી: કુંજ પક્ષીનાં  છ મૃતદેહો મળી આવતા દોડધામ
- ચિંતા|રાજુલા તાલુકાનાં કથીવદર ગામની સીમમાં બંધારા વિસ્તારમાં શિયાળો ગાળવા આવેલા
- ઘટનાની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ દોડી ગયો  : ગળામાં ઇન્ફેકશનથી મોત થયાની આશંકા

અમરેલી: શીયાળાના પગરણ સંભળાઇ રહ્યા છે ત્યારે અમરેલી જીલ્લામાં જળાશયો અને દરીયાકાંઠાના વિસ્તારમાં પ્રવાસી પક્ષીઓનું આગમન શરૂ થઇ ગયુ છે. કથીરવદરના બંધારા વિસ્તારમાં મોટી સંખ્યામાં કુંજ પક્ષીઓ આવ્યા છે ત્યારે આજે અહિં છ કુંજના મૃતદેહ મળી આવતા અને ત્રણ કુંજ બિમાર હાલતમાં મળી આવતા વનતંત્રનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. કુંજને ગળામાં ઇન્ફેક્શન હોવાનું મનાઇ છે. છતાં તેના મોતનું સાચુ કારણ પીએમ રીપોર્ટ બાદ ખબર પડશે તેમ વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું.

અમરેલી જીલ્લાના દરીયાકાંઠા વિસ્તારમાં દર વર્ષે ખુબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ શીયાળો ગાળવા માટે આવે છે. ફ્લેમીંગો, કુંજ, પેલીકન જેવા પક્ષીઓ મોટી સંખ્યામાં દરીયાકાંઠે ઉતરે છે. ચાલુ સાલે પણ શીયાળો ગાળવા આવતા આ યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઇ ચુક્યુ છે. હાલમાં કથીરવદર, ખેરા, પટવા, ચાંચ વિગેરે વિસ્તારમાં મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ ઉતરી આવ્યા છે.

દરમીયાન આજે રાજુલા તાલુકાના કથીરવદર ગામની સીમમાં બંધારા વિસ્તારમાં અચાનક જ કુંજ ટપોટપ મરવા લાગ્યા હતાં અને જોતજોતામાં છ કુંજ અહિંથી મરેલી હાલતમાં જ્યાં ત્યાં પડેલા મળી આવ્યા હતાં. આ ઉપરાંત અહિં ત્રણ કુંજ બિમાર હાલતમાં પણ નઝરે પડયા હતાં. જેના કારણે સ્થાનિક આગેવાનો મનસુખભાઇ બાંભણીયા, ધાપાભાઇ, મંગાભાઇ વિગેરે દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

જેને પગલે વનતંત્રના ગોહિલભાઇ, પઠાણભાઇ, ભરતભાઇ વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને કુંજના મૃતદેહો કબજે લીધા હતાં. આ ઉપરાંત ત્રણ બિમાર કુંજને કબજે લઇ તેની સારવાર માટેની પ્રક્રિયા પણ હાથ ધરી હતી. આ પ્રવાસી પક્ષીઓના ગળામાં ઇન્ફેક્શન જેવા લક્ષણો જણાયા હોવાનું જાણવા મળેલ છે. પક્ષીઓના પોસ્ટ મોર્ટમના રીપોર્ટ બાદ તેના મોતનું સાચુ કારણ ખબર પડશે તેવું વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું.

ગત વર્ષે પણ શિયાળામાં આવી જ ઘટના બની હતી

િજલ્લામાં દરિયાકાંઠા વિસ્તારમાં દર વર્ષે ફલેમિંગો, કુંજ અને પેલીકન જેવા યાયાવર પક્ષીઓ શિયાળાનું વેકેશન ગાળવા અહીં આવી પહોંચે છે એ રીતે આ વર્ષે પણ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓનું આગમન થયુ છે. ગત વર્ષે પણ કુંજ પક્ષીઓ મરી જવાની આવી ઘટના શિયાળાના સમયમાં બની હતી. એવી જ ઘટના રાજુલા તાલુકાનાં કથીવદર ગામની સીમમાં બંધારા વિસ્તારમાં બનતા છ કુંજ પક્ષીઓ મરી જતાં આ પક્ષીઓનું મૃત્યુ કયાં કારણોસર થયુ છે તે જાણવા તંત્ર દોડતુ થયુ છે.

No comments: