Monday, November 29, 2010

...તો લોકો મેદાને ઉતરશે.

અંધાત્રી (માંડવી), તા. ૨૮
વન વિભાગના અથાગ પ્રયાસો બાદ તાજેતરમાં દીપડીનાં બે બચ્ચાં તથા શનિવારના રોજ ભાતખાઈમાં એક દીપડો પકડાવા સિવાય ઝાઝી સફળતા મળી નથી. હંમેશાં સાથે રહેતું ગ્રામજનોનું ટોળું આ સર્ચ ઓપરેશનમાં બાધક હોવાનું જણાવી આર.એફ.ઓ.એ બે દિવસ ગ્રામજનોને સ્થળથી દૂર રહેવા સૂચના આપી હતી. વન વિભાગની ચેતવણી અને સૂચનાને ધ્યાને લઈ ગ્રામજનોએ નિર્ણય કર્યો છે કે, આપણે બે દિવસ સુધી કોઈ પણ વ્યક્તિએ વન અધિકારી સાથે દીપડો પકડવા જવું નહી, પરંતુ જો બે દિવસમાં વન વિભાગ દીપડો પકડવામાં નિષ્ફળ જશે તો ગ્રામજનો દીપડાને પકડવા મેદાનમાં ઉતરશે, એવી સામી ચેતવણી ગ્રામજનોએ વન વિભાગને આપી દીધી હતી.
  • લોકોના ટોળાંને લીધે ફાયરિંગ કરવામાં મુશ્કેલી થઈ રહી છે : વન વિભાગ
  • બે દિવસ ગ્રામજનોને સર્ચ ઓપરેશનથી દૂર રહેવા વન વિભાગની ચેતવણી
માંડવી તાલુકામાં આતંક મચાવનાર ત્રણથી વધુ માનવભક્ષી દીપડાને જીવતા કે મરેલા પકડવા સરકારે ફાયરિંગનો આદેશ આપી દીધો છે. હાલમાં વન કર્મચારીઓ વરેલી ગામ નજીક દીપડાને પકડવા ઠેરઠેર બકરીના મારણ ગોઠવી માંચડા પર બંદૂક લઈ તૈનાત જોવા મળી રહ્યા છે. દીપડાનેે પકડવા સતત વોચમાં રહેલા વન કર્મચારીઓને આ માનવભક્ષી દીપડા રીતસરના મથાવી રહ્યા છે. દીપડાને પકડવા જંગલ ખાતાએ હાથ ધરેલા સર્ચ ઓપરેશન હેઠળ પાંજરા, શૂટરો અને સ્ટ્રેકરની ગોઠવણ કરી છે. વન વિભાગની કામગીરી બાબતે સબ ડી.એફ.ઓ. ડી.એસ.ચૌધરીનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, અહીં લોકો જ અમને નડી રહ્યા છે. આખો દિવસ લોકોનું ટોળું અમારી સાથે રહેતા દીપડાને સહેલાઈથી પકડી શકાતો નથી તેમજ ફાયરિંગ કે અન્ય હથિયારોનો ઉપયોગ કરી શકાતો નથી. ગ્રામજનો બે દિવસ આ સર્ચ ઓપરેશનથી દૂર રહે તો  દીપડાને ઝબ્બે કરવામાં સફળતા મળી શકે તેમ છે. આરએફઓ રાજપૂતે જણાવ્યું હતું કે, આક્રમક બનેલા દીપડાને પકડવા હવે વન વિભાગે પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ગામડાના હજી અંદરના ભાગે માચડા બનાવી શૂટરો આખો દિવસ તેમજ રાત્રિના સમયે તૈનાત રહીને બાજનજર રાખી રહ્યા છે. તેમજ ઉચ્ચ અધિકારીઓ અવારનવાર સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વન વિભાગે દીપડાને પકડવા કરેલા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. ચાર ચાર વ્યક્તિઓને ભરખી જનાર દીપડાઓને પકડવા વન વિભાગ વામણો પુરવાર થતા ચોમેરથી વન વિભાગ સામે ફીટકાર વરસી રહ્યો છે. હાલમાં ગામના ખેડૂતો ખેતરોમાં જતા કે દૂર કોેઈ કામ અર્થે એકલા જતા દરે છે, કારણ કે દીપડો ગમે ત્યારે હુમલો કરે છે જેથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે.
વન વિભાગ નિષ્ફળ જશે તો ગ્રામજનો આગળ આવશેઃ સરપંચ
અંધાત્રી (માંડવી): માંડવી તાલુકાના વરેલી ગામે વન વિભાગના કર્મચારીઓ સાથે ફરતું રહેતું લોકોનું ટોળું દીપડાને પકડવા અવરોધક બનતું હોવાનું સબ આરએફઓએ જણાવી લોકોને બે દિવસ દૂર રહેવા અપીલ કરી હતી, જેને પગલે ગામના સરપંચ ધનસુખભાઈએ અત્રે સંદેશ સાથેની મુલકાતમાં જણાવ્યું હતું કે, વન વિભાગની ચેતવણી અને સૂચનાને ધ્યાને લઈ ગ્રામજનોએ નિર્ણય કર્યો છે કે, આપણે બે દિવસ સુધી કોઈ પણ વ્યક્તિએ વન અધિકારી સાથે દીપડો પકડવા જવું નહી, પરંતુ જો બે દિવસમાં વન વિભાગ દીપડો પકડવામાં નિષ્ફળ જશે તો ગ્રામજનો દીપડાને પકડવા મેદાનમાં ઉતરશે, એવી સામી ચેતવણી ગ્રામજનોએ વન વિભાગને આપી દીધી હતી. હવે એ જોવું રહ્યું કે, વન વિભાગ બે દિવસમાં દીપડાને પકડવા કેટલો સફળ થાય છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=242443

No comments: