Bhaskar News, Amreli
Friday, June 11, 2010 01:50 [IST]

ધારીના ગીરકાંઠાના ગઢિયા ગામના માલધારીઓ પાછલા ઘણા સમયથી હેરાન પરેશાન છે. ગઇકાલે એક ભરવાડ યુવાન સીમમાં ઘેટાં-બકરા ચરાવી રહ્યો હતો ત્યારે અચાનક એક સાવજ ત્રાટકયો હતો. સાંજના પાંચેક વાગ્યે ઘેંટા બકરા પર તુટી પડેલાં સાવજે ત્રણ બકરા અને બે ઘેંટાનું મારણ કર્યું હતું. જ્યારે બીજા ઘેંટા-બકરામાં ભાગદોડ થઇ ગઇ હતી. માલધારી યુવાન પણ નાસી છુટ્યો હતો.
આ ગામ ગીર કાંઠાનું ગામ હોય અવારનવાર સિંહો ચડી આવે છે. નાના પશુઓનું મારણ કાયમ થાય છે. અહીં ડુંગરાળ પ્રદેશ છે અને ઝાડી ઝાંખરા પણ પુષ્કળ પ્રમાણમાં છે. ચરિયાણ પણ પુષ્કળ છે. જંગલમાંથી અવારનવાર ચડી આવતાં સાવજો ભયનો માહોલ સજેઁ છે. ભૂતકાળમાં ૨૫-૨૫ ઘેંટા બકરાના મારણની ઘટનાઓ પણ બની ચૂકી છે. પાંચ-દસ પશુઓના મારણની ઘટનાઓનો પણ કોઇ પાર નથી. એકલ-દોકલ પશુના મારણની ઘટના તો જાણે રોજીંદી છે.
અમુક સાવજો તો જાણે ગઢિયાની સીમમાં પડ્યા પાથર્યા રહે છે. ગઇકાલના બનાવની જાણ થતાં જંગલખાતાનો સ્ટાફ દોડી ગયો હોવાનું જાણવા મળેલ છે. વન વિભાગ રેવન્યુ વિસ્તારમાંથી સાવજોને જંગલમાં ખદેડી મુકે તેવી માંગ કરવામાં આવી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-attack-on-group-of-annimal-five-deth-1048482.html
No comments:
Post a Comment