Tuesday, May 1, 2012

પાણી પીવા આવેલું સિંહ બાળ અવેડામાં પડ્યું.

Source: Bhaskar News, Una   |   Last Updated 1:58 AM [IST](30/04/2012)
 
પાણી ખાલી કરી સિંહબાળને વનવિભાગે બચાવી લીધું

ઊનાનાં ગીરગઢડા ગામનાં પાદરમાં પાણી પીવા આવેલ ૧૧ સિંહનાં ગૃપમાંથી એક બચ્ચું અવેડામાં પડી જતાં વનવિભાગે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી સિંહબાળને બચાવી લીધું હતું.

જંગલબોર્ડર નજીક આવેલા ગીરગઢડા ગામનાં પાદરમાં આજે પરોઢીયે ૧૧સિંહનું ગૃપ આવી પહોંચ્યું હતું તેમાં આઠ તો સિંહબાળ હતા. આ સિંહ પરિવાર એક અવેડામાં પાણી પી પ્યાસ બુજાવતા હતા ત્યારે ગમ્મત કરતું એક ચાર માસનું બચ્ચું અકસ્માતે અવેડાનાં ઉંડા પાણીમાં પડી ગરક બની ગયું હતું.

આ દ્રશ્ય લાલજીભાઇ દુધાત નામનાં ગ્રામજને નિહાળતાં તેમણે જશાધાર રેનજનાં આરએફઓ બી.ટી.આહીરને જાણ કરતાં તેઓ રેસ્કયુટીમને લઇ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સમયે સિંહ પરિવાર નજીકમાં દુર લપાઇને બેસી ગયો હતો. રેસ્કયુટીમે સૌપ્રથમ અવેડાનું પાણી ખાલી કરાવી સિંહબાળને સલામત રીતે બહાર કાઢી પાંજરે પૂરી જશાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર અપાવ્યા બાદ સિંહોનાં ગૃપને શોધી કાઢી તેનાં પરિવાર સાથે મિલન પણ કરાવી દીધું હતું. આમ, વન વિભાગની વન્યપ્રાણીઓની માવજત પ્રત્યે ઉમદા કામગીરી જોવા મળી હતી.

૧૧ સિંહના ગ્રૂપને જોવા લોકો ઊમટી પડ્યા

ઊના પંથકનાં લોકોને ક્યારેય પણ જંગલમાં કે અન્ય જગ્યાએ સિંહદર્શન કરવા જવું પડતું નથી. બે દિવસ પહેલાં પણ ખાપટ ગામમાં નવ સિંહ પહોંચી ગયા હતા. ગીરગઢડાનાં ગ્રામ્યજનો ૧૧ સિંહના ગૃપને જોવા ઉમટી પડ્યા હતાં.

No comments: