Wednesday, October 31, 2018

સાવરકુંડલા તાલુકાના આંબરડી અને બગોયા ગામ વચ્ચે છેલ્લા બે

Divyabhaskar.com | Updated - Oct 25, 2018, 02:01 AM

સાવરકુંડલા તાલુકાના આંબરડી અને બગોયા ગામ વચ્ચે છેલ્લા બે દિવસથી એક સિંહ બિમાર હાલતમા નદીના કાંઠે બેઠો હોય અને...

સાવરકુંડલા તાલુકાના આંબરડી અને બગોયા ગામ વચ્ચે છેલ્લા બે દિવસથી એક સિંહ બિમાર હાલતમા નદીના કાંઠે બેઠો હોય અને મોઢામાથી લાળ પડતી હોય સ્થાનિક લોકો દ્વારા વનવિભાગને જાણ કરવામા આવતા વનતંત્રની રેસ્કયુ ટીમ તાબડતોબ અહી દોડી ગઇ હતી અને આ સિંહને પાંજરે પુરી જસાધારના એનીમલ કેર સેન્ટરમા ખસેડયો હતો. વનવિભાગના સુત્રોએ આ સિંહને પાયરેસીયા હોવાનુ જણાવ્યું હતુ. તેની સાથેના અન્ય જનાવરો હેલ્ધી જણાતા તેને પાંજરે પુરાયા ન હતા.

દલખાણીયા રેંજમા કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ ફેલાયા બાદ 23 સાવજોના મોતની ઘટના પછી આજે સાવરકુંડલા તાલુકાના બગોયા આંબરડીની સીમમા ધાતરવડી નદીના કાંઠે બાવળની કાટમા એક સિંહ બિમાર હાલતમા હોવાની વનતંત્રને સ્થાનિક લોકોએ જાણકારી આપતા તંત્રમા દોડધામ મચી ગઇ હતી. દલખાણીયાના સાવજોની જેમ આ સાવજને પણ મોઢામાથી લાળ પડતી હતી. જેને પગલે વનવિભાગની રેસ્કયુ ટીમે તાબડતોબ આ સિંહને પાંજરે પુરી સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમા ખસેડી દીધો હતો. જો કે આ સાવજમા કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી પ્રભાવિત સાવજો જેવા અન્ય કોઇ લક્ષણો જોવા મળ્યાં ન હતા તેમ વનવિભાગે જણાવ્યું હતુ. અહીથી ઝડપાયેલા સાવજને એક પ્રકારના તાવ પાયરેસીયાની બિમારી હોય જરૂરી સારવાર શરૂ કરી દેવાઇ હતી.

આ વિસ્તારમા 11 સાવજોનુ એક ગૃપ વસવાટ કરે છે. આ સાવજો દ્વારા આસપાસના વિસ્તારમા છેલ્લા એક સપ્તાહ દરમિયાન પાંચ મારણ કરવામા આવ્યા હતા. તમામ સાવજોએ સાથે જ મારણ ખાધુ હતુ. જો કે અહી માત્ર એક જ સાવજ બિમાર જોવા મળ્યો હતો. આજે આ સાવજની સાથે જ અન્ય બે સાવજો બાવળની કાટમા બેઠા હતા પરંતુ આ બંને સાવજો તંદુરસ્ત જણાતા તેમને પાંજરે પુરાયા ન હતા. વનવિભાગને આ બિમાર સાવજ છેલ્લા બે દિવસથી એક જ જગ્યાએ બેઠો હોવાની જાણકારી મળી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020122-3048206-NOR.html

No comments: