Wednesday, October 31, 2018

ખાંભાનાં રબારીકાનાં રેવન્યુ વિસ્તારમાંથી બિમાર સિંહણને સારવાર માટે ખસેડાઇ

Divyabhaskar.com | Updated - Oct 31, 2018, 02:02 AM

પગે ઇજા પહોંચી હોય રેસ્કયુ કરી પાંજરે પુરી આંબરડી મોકલી અપાઇ

તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તારમાં એક લુલી અને બીમાર સિંહણ હોવાની વનવિભાગને જાણકારી મળી હતી. ત્યારે આ સિંહણને વનવિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા પકડી હાલ ધારીના આંબરડી ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.

તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ અને બોરાળા રાઉન્ડની બોર્ડર નજીક આવેલા માલકનેશ રેવન્યુ વિસ્તારમાં એક આશરે ચાર વર્ષની સિંહણ પગે લુલી ચાલતી હોય ત્યારે આ સિંહણ મારણ પણ ન કરી શકતી હોય ત્યારે પૂરતો ખોરાક ન મળવાથી સિંહણ બીમાર પડી ગઈ હતી. જ્યારે આ અંગે સ્થાનિક રેસ્ક્યુ ટીમના સાહિદખાન પઠાણને જાણ થતા તેઓ દ્વારા રેન્જ કચેરી જાણ કરવામાં આવી હતી.

બાદમાં વનવિભાગના રેસ્ક્યુ ટીમના મહેશભાઈ સોદારવા અને બોરાળા રાઉન્ડ ઇન.ફોરેસ્ટર દીપકભાઈ સોદારવા તેમજ વનવિભાગના વેનેટરી ડોક્ટર વામજાની દેખરેખમાં આ સિંહણને રેસ્ક્યુ કરવામાં આવી હતી. સિંહણને પગમાં ઇજા થઇ હોય લંગડાતી ચાલતી હતી. આ સિંહણ દ્વારા મોટું મારણ ન કરી શકવાના કારણે પોતાના ખોરાક પૂરતો લઈ શકતી ન હતી. તેના કારણે અશકત થવાથી બીમાર થઈ ગઈ હતી. આ સિંહણને વનવિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણ કલાક જેટલી મહેનત બાદ રેસ્ક્યુ કરી આ સિંહણને પાંજરે પુરાવામાં આવી હતી. હાલ વેનેટરી ડોક્ટરને દેખરેખમાં ધારીના આંબરડી ખાતે સારવાર હેઠળ રાખવામાં આવી હોવાનું વનવિભાગમાંથી જાણવા મળી રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020216-3095350-NOR.html

No comments: