Wednesday, April 21, 2010

ગીરમાં ૨૪મી એપ્રિલથી સિંહની વસતિ ગણતરી.

આના લેખક છે GS NEWS   
મંગળવાર, 20 એપ્રિલ 2010

પ્રથમ વખત ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમનો ઉપયોગ

ગાંધીનગર,
રાજ્યના ગીર અભ્યારણ્ય અને તેને સંલગ્ન વિસ્તારમાં વસવાટ કરતા સિંહોની વસતિ ગણતરી આગામી ૨૪ થી ૨૭ એપ્રિલ દરમ્યાન કરવામાં આવનાર છે. આ માટે સાત વિભાગોને ૨૮ ઝોન તથા ૧૦૦ પેટા ઝોનમાં વહેંચી દઈ ૪૫૦ ગણતરીકારો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે પ્રથમવાર ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ અને વાયરલેસ સહિતની અદ્યતન સુવિધાનો ઉપયોગ કરવામાં આવનાર છે. આ સમગ્ર કામગીરીની ફોટોગ્રાફી અને તેનું ડોક્યુમેન્ટેશન પણ કરવામાં આવનાર છે.

૭ વિભાગ, ૨૮ ઝોન અને ૧૦૦ પેટા ઝોનમાં ૪૫૦ ગણતરીકારો દ્વારા કામગીરીઃફોટોગ્રાફી અને ડોક્યુમેન્ટેશન પણ કરાશે

વિશ્વમાં માત્ર ગીરમાં જોવા મળતા એશિયન સિંહની વસતિ ગણતરી પાંચ વર્ષ બાદ ફરી હાથ ધરવામાં આવનાર છે. આ અંગે માહિતી આપતા રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ એસ.કે.નંદા અને અગ્ર મુખ્ય વન સંરક્ષક પ્રદિપ ખન્નાએ જણાવ્યું હતંુ કે, ગીર અભ્યારણ્ય અને તેને સંલગ્ન એવા મિતીયાળા, પાણીયા, ગીરનાર તથા ભાવનગર જિલ્લાના પાલીતાણા, જેસર સહિત જે જે સ્થળે સિંહોનું આવાગમન હોય તેવા તમામ વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. છેલ્લે વર્ષ -૨૦૦૫માં સિંહોની વસતી ગણતરી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે તા.૨૪ અને ૨૫ એપ્રિલે પ્રાથમિક બ્લોકવાઈઝ ગણતરી તથા ૨૬ અને ૨૭ એપ્રિલે આખરી બ્લોકવાઈઝ ગણતરી કરવામાં આવશે. વસતિ ગણતરી કરવા માટે ધારી, જસાધાર, જામવાળા, સાસણ, જૂનાગઢ, વેરાવળ અને જેસર એમ સાત વિભાગ પાડવામાં આવ્યા છે. જેને ૨૮ ઝોન અને ૧૦૦ સબઝોનમાં વહેંચવામાં આવ્યા છે. ૪૫૦ જેટલા ગણતરીકારો આ કામગીરી કરશે. તેમની સાથે સ્વયંસેવકોનો પણ સહયોગ લેવાશે.

વસતિ ગણતરીની કામગીરીમાં ૩૫ જેટલા વ્યવસાયિક ફોટોગ્રાફર તથા વન્ય પ્રાણી ફોટોગ્રાફરોને પણ સાથે રખાશે. આ ગણતરી અવલોકન -લોકેશન પદ્ધતિથી કરવામાં આવશે. જેમાં જંગલ વિસ્તારોમાં બીટ અને મહેસુલી વિસ્તારમાં ગામને એકમ તરીકે ધ્યાને લેવાશે. આ ગણતરી દરમ્યાન સિંહ જોયાનો સમય, સ્થળ અને લોકેશન નોંધવામાં આવશે. ત્યારબાદ ઝોનલ ઓફિસરને વાયરલેસ મેસેજથી જાણ કરાશે. જેઓ તાત્કાલિક સ્થળ ઉપર જઈ ચકાસણી કરશે અને ફોટોગ્રાફી વગેરે કરી પુરાવાઓ મેળવશે. આ કામગીરી બપોરે ૨ વાગ્યે શરૃ કરી બીજા દિવસે બપોરે ૨ વાગ્યે પૂર્ણ કરવામાં આવશે.
ઉનાળાની ઋતુમાં પાણીના સ્ત્રોતો મર્યાદિત હોવાથી આ સમયમાં સિંહની વસતિ ગણતરી સરળ રહે છે. સિંહોનું લોકેશન શોધવા માટે છેલ્લા નવ મહિનાથી સર્વે શરૃ કરી દેવામાં આવ્યો હતો. જેમાં છેલ્લા દસ વર્ષમાં સિંહ દ્વારા કરવામાં આવેલા મારણ અને વિસ્તાર સહિતની વિગતોનું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રમાણે ૪૫૦ જેટલા લોકેશન નિયત કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં કુલ ૧૩૫ અધિકારીઓ, ૪૫૦ ગણતરીકારો, ૯૦૦ મદદનીશો, ૧૦૦ સ્વયંસેવકો, ૫૦ ફોટોગ્રાફરો, ૧૨ ડોક્ટરો અને ૧૧ સંશોધકોની ટીમ કાર્યરત રહેશે. જ્યારે ૨૦૦ વાહનો અને ૪૫૦ મોટરબાઈક પણ પુરા પાડવામાં આવશે. જો કે, ગણતરી દરમ્યાન વાહનની અવરજવર સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. આ વખતે પ્રથમવખત વસતિ ગણતરીની કામગીરીમાં જીઆઇએસ, જીપીએસ અને વાયરલેસ સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે. આ તમામ કામગીરીનું ડોક્યુમેન્ટેશન પણ કકરવામાં આવનાર છે.
દર વર્ષે ૩૦થી ૪૦ સિંહોના મોત થાય છે
ગાંધીનગર,
ગીરના જંગલોમાં સિંહના સંવર્ધન માટેના સતત પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે દર વર્ષે વિવિધ કારણોસર ૩૦થી ૪૦ સિંહોના મોત થાય છે. ગયા વખતની ગણતરી પ્રમાણે ૩૫૯ સિંહો નોંધાયા હતા.

૮૯ સિંહો દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયોમાં રાખવામાં આવ્યા છે

સિંહના મૃત્યુ પાછળ બાલ્યાવસ્થામાં થતી બિમારી કે ચેપ લાગવાના કારણ મુખ્ય હોય છે. જ્યારે મેટીંગ સિઝન દરમ્યાન અંદરોઅંદર થતા લડાઈ-ઝઘડાને કારણે પણ સિંહનું મોત થવાના બનાવ બનતા રહે છે. હાલ, માત્ર ગીરના જંગલોમાં જોવા મળતા એશિયાટીક લાયન દેશના વિવિધ પ્રાણી સંગ્રહાલયમાં પણ રાખવામાં આવ્યા છે. જે મુજબ દિલ્હી, હૈદરાબાદ, રાજકોટ અને શક્કરબાગ ઝૂમાં કુલ ૮૯ જેટલા સિંહ જોવા મળે છે. આગામી દિવસોમાં ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં પણ એશિયાટીક લાયન લાવવાની તજવીજ ચાલી રહી છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/61573/

No comments: