Thursday, October 30, 2014

કોદીયામાં ચાર વર્ષના બાળકને ફાડી ખાનાર નરભક્ષી દીપડી પાંજરે પુરાઈ.

Oct 30, 2014 00:36

  • મૃતકના પરિવારને દોઢ લાખનો સહાયનો ચેક અપાયો
ઉના/ અમરેલી :  ધારી ગીર પૂર્વના આવેલા કોદીયા ગામે ત્રણ દિવસ પહેલા ૪ વર્ષના બાળકને ફાડી ખાનાર નરભક્ષી દીપડીને ગઈ કાલે વન વિભાગે પકડી પાડી હતી.
 આ અંગે વન વિભાગના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ત્રણ દિવસ પૂર્વે ધારી ગીર પૂર્વ વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા ઉના તાલુકાના કોદીયા ગામે કાળુભાઈ સાંખટ પોતાના પરિવાર સાથે ખેતરમાં કામ કરતા હતા ત્યાર દીપડીએ તેના પુત્ર કલ્પેશ(ઉ.૯) ઉપર હુમલો કર્યો હતો.ગળામાં દાંત બેસાડી દેતા કલ્પેશ માતા પિતાની નજર સામે જ મોતને ભેટયો હતો.મૃતક પાંચ બહેનોનો એકનો એક ભાઈ હતો.
આ અંગેની જાણ થતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને નરભમક્ષી દીપડીને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા હતા.જેમાં દીપડી આબાદ રીતે પકડાઈ ગઈ હતી. આ દીપડીને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવી છે જયાં ઓબર્ઝવેશનમાં રાખવામાં આવી છે.
 આ ઘટના બાદ ગીર પૂર્વ વન વિભાગના ડીએફઓ અંશુમાન શર્માએ તુરત જસાધાર ગીરના આરએફઓ બી.ટી.આયરને સુચના આપતા વિના વિલંબે કાગળો કરી અને આજે કોદીયા ગામે બી.ટી.આયરે સ્ટાફ સાથે જઈ મૃતકના પિતા કાળુભાઈ વીરાભાઈને સાંત્વન આપી વન વિભાગ દ્વારા રૃ.૧.પ૦ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
અત્યંત ગરીબ પરિવાર જીંદગીભર રળે તો પણ લાખ રૃપિયા એકઠા કરી શકે તેવી સ્થિતિ નહોતી ત્યારે રૃ.દોઢ લાખની સહાય મળતા સ્વજન ગુમાવ્યાની વ્યથા સામે પરિવારે આંશિક રાહત અનુભવી છે.
આરએફઓ આયરે જણાવ્યું હતું કે ગઈ કાલે સવારે કોદીયા ગામની સીમમાં ૩ પાંજરા મારણ સાથે મુકવામાં આવ્યા હતા જેમાં એક પાંજરામાં દીપડી પુરાઈ જતા માનવભક્ષી દીપડીને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવી છે.હાલ તેને ઓબર્ઝવેશનમાં રાખવામાં આવી છે. બાદમાં આજીવન કારાવાસ માટે સક્કરબાગ ઝૂમાં મોકલવામાં આવશે.

No comments: