Thursday, April 30, 2015

અમરેલી: વનતંત્રની ના છતાં માલગાડીઓ સતત દોડતી રહી.

અમરેલી: વનતંત્રની ના છતાં માલગાડીઓ સતત દોડતી રહી
Bhaskar News, Amreli

Apr 10, 2015, 00:03 AM IST
રાજુલા,અમરેલી: રામપરામાં એકસાથે ત્રણ ત્રણ સિંહબાળના માલગાડી હડફેટે મોત થયાને પગલે વનતંત્રનુ નાક કપાયા બાદ આજે વનતંત્ર દ્વારા રેલવેને અહીથી માલગાડી પસાર ન કરવા સુચના અપાઇ હતી પરંતુ હંમેશા અકકડ વલણ અપનાવતા રેલવે તંત્રએ તેને લેશ માત્ર ન ગણકારી માલગાડીઓ ચાલુ રાખી હતી જેને પગલે વનતંત્રએ સવારે માલગાડી અટકાવી દીધી હતી. દોઢ કલાક સુધી માલગાડી અટકાવી રખાયા બાદ મામલો સુલઝાવી તેને રવાના કરાઇ હતી.
-રામપરામા ત્રણ સિંહબાળના મોત બાદ પણ નિંભર રેલતંત્રને સાવજોની કાંઇ પડી નથી
-વનવિભાગે દોઢ કલાક સુધી માલગાડી અટકાવી દેતા રેલતંત્ર દોડતુ થઇ ગયુ છતાં નાક બચાવવા ગાડી ન રોકી હોવાની દલીલ
આમપણ ભારતભરમાં રેલવે તંત્ર તેના અકકડ વલણના કારણે બદનામ છે. ભુતકાળમાં ટ્રેન હડફેટે સાવજોના મોતની ઘટના બાદ વન અધિકારીઓ અને રેલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી અને રેલવે ટ્રેક ફરતે તાર ફેન્સીંગ કરવુ, ટ્રેન ધીમી ચલાવવી, થોડા થોડા અંતરે સાવજોની હાજરી અંગે બોર્ડ લગાવવા, ટ્રેનના સતત વ્હીસલ વગાડવા જેવી એકપણ સુચનાનો હજુ સુધી અમલ થયો નથી. બલકે ત્રણ ત્રણ સિંહબાળના મોત બાદ રેલ તંત્રએ તેની અકકડ છોડી ન હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આજે વનતંત્ર દ્વારા રેલવેને અહીથી માલગાડી પસાર ન કરવા સુચના અપાઇ હતી.
અહી વન અધિકારીઓ નિરીક્ષણ માટે આવવાના હતા. આ ઉપરાંત બચ્ચાના મોત બાદ રઘવાઇ સિંહણ ટ્રેક ફરતા જ આંટા મારે છે જેને પગલે આ સુચના અપાઇ હોવા છતા રેલ તંત્રએ ધરાર તેને અવગણી માલગાડીઓની અવરજવર ચાલુ જ રાખી હતી. સવારે પીપાવાવ તરફથી એક માલગાડી આવી પહોંચતા આખરે વનતંત્રએ માલગાડીને રસ્તા પર જ અટકાવી હતી અને દોઢ કલાક સુધી માલગાડી અટકાવી રાખ્યા બાદ મામલો સુલઝતા તેને રવાના કરાઇ હતી. જો કે વનવિભાગના અધિકારીઓએ પોતાનુ નાક બચાવવા એવી દલીલ રજુ કરી હતી કે અમે માલગાડીઓ અટકાવવા સુચના આપી ન હતી. આરએફઓ ધાંધીયાએ જણાવ્યું હતુ કે ડ્રાઇવરનુ નિવેદન લેવા માલગાડી અટકાવાઇ હતી. જો કે નવાઇની વાત એ છે કે જે માલગાડી અટકાવાઇ હતી તે માલગાડી હડફેટે સિંહબાળના મોત જ થયા ન હતા પરંતુ તે બીજી જ માલગાડી હતી.
પીપાવાવ પોર્ટમા માલગાડીઓની સતત અવરજવર ચાલુ રહે છે. વળી આ માલગાડીઓ સો સો ડબ્બાની લાંબી લચક હોય છે. ત્રણ સિંહબાળના મોતની ઘટના બાદ પણ રાત્રી દરમિયાન અહીથી 11 માલગાડી પસાર થઇ હતી અને દિવસ દરમિયાન પણ મોટી સંખ્યામા માલગાડીઓ પસાર થઇ હતી.
રેલરોકો આંદોલન કરીશું  
રાજુલાના સિંહપ્રેમી શિવરાજભાઇ ધાખડાએ જણાવ્યું હતુ કે રામપરાનો બનાવ રેલવેના ડ્રાઇવરથી અજાણતા બન્યો છે પરંતુ બાબરીયાવાડ પંથકના સાવજોને અમે મરતા નહી જોઇ શકીએ. માલગાડી હડફેટે સાવજોના મોત નિપજે છે ત્યારે આ અંગે કોઇ કાર્યવાહી નહી કરવામા આવે તો આંદોલન કરતા ખચકાશું નહી.
સાવજોની માઠી દશા બેઠી છે
રાજુલાના સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખ અશોકભાઇ સાંખટે જણાવ્યું હતુ કે વનતંત્ર ગંભીરતા દાખવી સિંહોની રક્ષા કરે તો સારૂ નહિતર આ વિસ્તારમાંથી સિંહોનો નાશ થશે.
વનવિભાગની બેદરકારી
રાજુલાના પ્રકૃતિપ્રેમી આતાભાઇ વાઘે જણાવ્યું હતુ કે વનવિભાગની ઘોર બેદરકારીથી સાવજો મોતને ભેટી રહ્યાં છે. જવાબદાર અધિકારીઓ પણ ફરજ પર રહેતા નથી.
સિંહપ્રેમી ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યું હતુ કે રાજુલા જાફરાબાદ પંથકમાં અનેક ઉદ્યોગો ધમધમે છે. પરંતુ અહી સાવજોની કોઇ સુરક્ષા કરવામા નથી આવતી. અહી ગમે ત્યારે અકસ્માતે સાવજો મોતને ભેટી રહ્યાં છે. જવાબદાર અધિકારીઓ ઘટતુ નહી કરે તો આંદોલન કરવાની ફરજ પડશે.
20કિમીની સ્પીડે ચલાવો
વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલભાઇ લહેરીએ જણાવ્યું હતુ કે માલગાડી 20 કિમીની સ્પીડે ચલાવવી જોઇએ. રેલવે એન્જીન ઉંધા હલાવવાનુ બંધ કરો. ગઇકાલની ઘટનામાં માલગાડીના ચાલકે હોર્ન વગાડયુ હોત તો આ ઘટના અટકી શકી હોત. અહી રેલવે ટ્રેક પાસેથી બાવળો દુર કરવા જોઇએ.

No comments: