Thursday, April 30, 2015

14મી સિંહ વસતી ગણતરી માટે વનવિભાગ સજ્જ.

14મી સિંહ વસતી ગણતરી માટે વનવિભાગ સજ્જ
  • Bhaskar News, Talala
  • Apr 30, 2015, 01:48 AM IST
- કાર્યવાહી: 624 ગણતરીકારો અને મદદનીશો મળી 2000થી વધુ લોકોને ગણતરી કાર્ય ચોકસાઇ પૂર્વક પાર પાડવા તાલીમ અપાઇ

તાલાલા: ગીરના ઘરેણાં સમાન સિંહ પ્રજાતિની 14મી વસતી ગણતરી સુપેરે પાર પાડવા વનવિભાગ સજ્જ બની ગયું છે. ચાર દિવસ 2જી મેથી શરૂ થનાર સિંહ ગણતરીની કામગીરી ચોકસાઇ પૂર્વક કરવા 624 ગણતરીકારો સાથે મદદનીશો અને ગણતરી કાર્યમાં જોડાનાર લોકોને ગણતરી કાર્ય કેવી રીતે કરવું તે અંગે 2000 લોકોને સાસણ ખાતે ખાસ તાલીમ આપવામાં આવી હતી. સાથે ગણતરીમાં પ્રથમવાર ટેબ્લેટનો ઉપયોગ કરવાનો હોય ગણતરીકારોને ટેબ્લેટ સહિત જીપીએસ સિસ્ટમ અને વીડિયોગ્રાફી - ફોટોગ્રાફી માટે વિશેષ તાલીમ આપવામાં આવી હતી.

14મી સિંહ વસતી ગણતરીને લઇ વનવિભાગે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. દર પાંચ વર્ષે યોજાતી સિંહ પ્રજાતિની ગણતરી માટે આ ગણતરીમાં 1000 ટેબ્લેટનો ઉપયોગ કરાશે. સિંહ - સિંહણ  સિંહબાળના ડાયોગ્રામ ટેબ્લેટમાં મૂકવામાં આવ્યા હોય. ગણતરી ટોટલ ડાયરેક્ટ કાઉન્ટ મેથડ પધ્ધતિથી કરવાની હોય ગણતરીકારો સિંહ જૂએ એટલે તેમના શરીર - કેશવાળી - કાન - પૂંછ સહિતની સ્થિતિનું અવલોકન કરી ટેબ્લેટમાં તેની નોંધ કરશે.

સાથે દરેક સિંહોના ફોટોગ્રાફસ અને વીડિયોગ્રાફી કરાશે. રાત્રિના અંધારામાં સિંહોના ફોટા સ્પષ્ટ લેવા કેમેરા સાથે ફ્લેશ જોડવામાં આવી છે. આ ઉપરાંત ગ્લોબલ પોઝિશનિંગ  સિસ્ટમ - જીઆઇએસ જીપીએસ, જિયોગ્રાફિકસ ઇન્ફોર્મેશન સિસ્ટમ સહિતની અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ ગણતરી કાર્યમાં કરવાનો હોય. ગણતરીકારો અને મદદનીશોને ટેક્નોલોજીનો ઉપયોગ કયાં પ્રકારે કરવો તેની વિશેષ સમજ અને તાલીમ આપવામાં આવી છે. વનવિભાગનું હેડક્વાર્ટર ગણાતા સાસણ(ગીર)માં વનવિભાગે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

ગીર નેશનલ પાર્ક - દેવળિયા પરીચય ખંડ પાંચ દિવસ બંધ રહેશે

સિંહ ગણતરીનું કાર્ય જંગલમાં થવાનું હોય આગામી 1લી મેથી 5 મે સુધી ગીર નેશનલ પાર્ક અને દેવળિયા પરીચય ખંડના દ્વાર પ્રવાસીઓ માટે બંધ થશે. પાંચ દિવસ માટે વનવિભાગે ઓનલાઇન બુકિંગ પણ લીધા નથી જંગલમાં ગણતરી કાર્યમાં વિક્ષેપ ન પડે તે માટે સિંહદર્શન કરવા પ્રવાસીઓ માટે જંગલનાં દ્વાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

200 ફોર વ્હિલ - 600 બાઇક ઉપયોગમાં લેવાશે

સિંહ ગણતરી કાર્ય 624 પોઇન્ટ ઉપર આઠ જિલ્લામાં કરવાનું હોય ગણતરીકારોને ફાળવવામાં આવેલ વિસ્તાર એટલે કે વનવિભાગની એક બીટનો વિસ્તાર ત્રણ ગામથી લઇ દસ ગામ સુધીનો હોય ગણતરીકારો અને અધિકારીઓ વિસ્તારમાં ફરી શકે તે માટે 200 ફોર વ્હિલ અને 600 બાઇકની વ્યવસ્થા વનવિભાગે ઊભી કરી છે.

No comments: