Thursday, April 30, 2015

ખાંભાના ભાંવરડી લાયન શો પ્રકરણમાં તપાસ શરૂ.

ખાંભાના ભાંવરડી લાયન શો પ્રકરણમાં તપાસ શરૂ
Bhaskar News, Khambha

Apr 20, 2015, 00:22 AM IST
 
- વનવિભાગે ગ્રામજનોનાં નિવેદન પણ લીધા

ખાંભા: ખાંભાના ભાવરડી ગામે પાંચ સાવજોએ ગામમાં ઘુસી એક ગાયનુ મારણ કર્યુ હતુ. બાદમાં કોઇએ આ મારણને સાંકળ વડે વિજપોલ સાથે બાંધી દીધુ હતુ. ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ પણ અહી દોડી આવ્યો હતો અને વનવિભાગે તો મારણને છેક દસ કિમી દુર ખસેડી દીધુ હતુ જેના કારણે સાવજો ભુખ્યા ટળવળતા રહ્યાં હતા. ત્યારે આ ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને ગ્રામજનોના નિવેદનો પણ લેવાયા છે.

ભાવરડી ગામે બનેલી આ ઘટનામાં વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરવામા આવી છે. ગામમાં એકસાથે પાંચ સાવજો આવી ચડયા હતા અને અહી એક ગાયનુ મારણ કર્યુ હતુ. રાત્રીના લોકો જાગી જતા અહી સિંહ દર્શન માટે એકઠા થયા હતા. જો કે અહી કોઇ ટીખળીખોરોએ મારણને સાંકળ વડે એક વિજપોલ સાથે બાંધી દીધુ હતુ. બાદમાં વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો. વનવિભાગે તો મારણને છેક દસ કિમી દુર ડુંગરાળ વિસ્તારમાં ખસેડી દીધુ હતુ જેના કારણે સાવજો આખી રાત ગામની આસપાસ ટળવળ્યાં હતા.  

ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતા જ તપાસ શરૂ કરવામા આવી છે. મારણને કોણે સાંકળ વડે વિજપોલ સાથે બાંધ્યુ ? તે અંગે વનવિભાગ દ્વારા ગ્રામજનોના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરવામા આવી છે. એવુ પણ કહેવાય રહ્યું છે કે વનવિભાગની તરફેણમાં નિવેદનો આવે તેવા લોકોના જ નિવેદનો લેવામા આવી રહ્યાં છે. ડીએફઓ અંશુમન શર્માએ ગઇકાલે જણાવ્યું હતુ કે તસ્વીરમાં દેખાતા લોકોની પુછપરછ કરવામા આવશે. અને જે કોઇએ કૃત્ય કર્યુ હશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

મારણ બંધાયુ તે સ્થળ અલગ- RFO

ઘટના અંગે તપાસ કરનાર તુલશીશ્યામ રેંજના આરએફઓ ઝાલાએ જણાવ્યું હતુ કે નિવેદનો લેવાની કામગીરી શરૂ કરવામા આવી છે. મારણને સાંકળ વડે બાંધી દેવામા આવ્યુ છે તે વાત ખોટી છે. ભાવરડીમાં જે સ્થળે મારણ છે તે જગ્યા ઉપર સાંકળ બાંધવાની ઘટના બની નથી તે સ્થળ અલગ હોવાનુ જણાવ્યું હતુ.

No comments: