Saturday, August 31, 2019

મોઇરંગથમે નોકરી છોડીને એકલા હાથે 17 વર્ષ સુધી મહેનત કરીને 300 એકરમાં જંગલ બનાવ્યું

 https://www.divyabhaskar.co.in/youth-zone/inspirational/news/manipur-man-has-replanted-an-entire-300-acre-forest-by-himself-over-a-period-of-17-years-1567237644.html?ref=hf

  • આ જંગલમાં 250 પ્રજાતિના વૃક્ષ છે
  • મોઇરંગથમ જંગલમાં જ રહે છે
  • ભવિષ્યમાં મોઇરંગથમ લોહિયા આ જંગલને વિસ્તારવા માગે છે

Divyabhaskar.com

Aug 31, 2019, 01:13 PM IST
યૂથ ઝોન ડેસ્ક: હાલ દુનિયાભરના લોકોની નજર એમેઝોનના જંગલમાં લાગેલી આગ પર છે. આ જંગલમાં હજારો એકરમાં લાગેલી આગને બુઝાવવાના પ્રયાસો ચાલુ જ છે. એમેઝોન જંગલ આખી પૃથ્વીને 20 ટકા ઓક્સિજન પૂરો પાડે છે. દુનિયાના દરેક લોકો તેને બચાવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે, તેવામાં બીજી બાજુ આપણા દેશમાં એવા વ્યક્તિ પણ છે જેણે જંગલ બનાવવા માટે પોતાની આખી જિંદગી સમર્પિત કરી દીધી.
એકલા હાથે જંગલ બનાવ્યું
મણિપુરના પર્યાવરણપ્રેમી વ્યક્તિએ વૃક્ષો માટે પોતાની નોકરીને તિલાંજલિ આપી દીધી. મોઇરંગથમ લોહિયાએ છેલ્લા 17 વર્ષમાં એકલા હાથે 300 એકરનું જંગલ ઊભું કર્યું છે. તેમણે મણિપુરના લંગોલ હિલ રેન્જમાં વૃક્ષો વાવ્યા છે. મોઇરંગથમ આજે પણ જંગલમાં જ રહે છે
જંગલ બનાવવાનો આઈડિયા
મોઇરંગથમે કહ્યું કે, હું છેલ્લા 17 વર્ષથી વૃક્ષ વાવવાનું કામ કરું છું. નાનપણથી મને જંગલ અને મોટાં ઝાડ ઘણા ગમે છે. જ્યારે હું મારી કોલેજ પૂરી કરીને મારા ગામ પરત ફર્યો ત્યારે મેં જોયું કે, જંગલનો નાશ થઇ ગયો છે અને માત્ર નાના વૃક્ષ જ વધ્યા છે. આ બધું જોઈને હું ઘણો ઉદાસ થઈ ગયો હતો. આ જ પળે મને પર્યાવરણ માટે કંઈક કરવા માટેનો રસ્તો બતાવ્યો.
આ જંગલ અનેક પશુ-પક્ષીનું ઘર છે
મોઇરંગથમ લોહિયાએ સર્જન કરેલું જંગલ 'પુનશીલોક' તરીકે ઓળખાય છે. આ જંગલમાં 250 પ્રજાતિના વૃક્ષો છે અને બામ્બુની 25 પ્રજાતિ છે. માત્ર વૃક્ષો જ નહીં પણ આ જંગલ ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ આશરો બન્યું છે. અહીં જંગલ પક્ષીઓ, સાપ અને વાઈલ્ડ એનિમલનું ઘર છે.
લોકોને જંગલનું મહત્ત્વ સમજાવ્યું
એકલા હાથે જંગલ ઊભું કરવું તે કોઈ સામાન્ય વાત નહોતી. ગામના લોકોને વૃક્ષને કાપતાં અટકાવવા અને તેનું મહત્ત્વ સમજાવવું તે ઘણું અઘરું કામ હતું. જો કે, સમયની સાથે લોહિયાએ બધાના દિલ જીતી લીધા અને ગામના લોકોએ પણ તેને આ કામમાં સાથ આપવાનું શરુ કરી દીધું.
ભવિષ્યનો પ્લાન
મોઇરંગથમના આ કામની અનેક લોકોએ નોંધ લીધી છે. કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટના પ્રિન્સિપાલ ઓફ ચીફ કેરેઈહૌવી અંગામીએ કહ્યું કે, મોઇરંગથમ લોહિયાના જંગલ બનાવવાના પ્રયત્ન વખાણ કરવા લાયક છે. પર્યાવરણ પ્રત્યેનો તેનો પ્રેમ અનેક લોકોને પ્રેરણા આપે છે. મોઇરંગથમ લોહિયા સ્વયંસેવક અને મિત્રોનું એક નાનું ગ્રુપ બનાવ્યું છે. ભવિષ્યમાં આ ગ્રુપ જંગલને હજુ વધારે ફેલાવવા માગે છે.

No comments: