Saturday, August 31, 2019

જૂનાગઢ વન વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મીઓ છેલ્લા

DivyaBhaskar News Network

Aug 21, 2019, 06:45 AM IST

જૂનાગઢ વન વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મીઓ છેલ્લા 5 માસથી પગારથી વંચિત હોય કર્મીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે તેમજ વિવિધ પડતર પ્રશ્ને ગુજરાત ફોરેસ્ટ પ્રોડ્યુસ ગેધરર્સ એન્ડ ફોરેસ્ટ વર્કસ યુનિયને વન વિભાગને 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો ત્યાં સુધીમાં યોગ્ય નિર્ણય નહી થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. આ અંગે યુનિયનના પ્રમુખ નાનજીભાઇ કોઠીવાળે સીસીએફને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, જૂનાગઢ વન વિભાગની કચેરી દ્વારા 5 માસથી રોજમદારોના પગાર ચૂકવવામાં આવ્યા નથી. વિવિધ પ્રશ્ને કોર્ટમાં કેસ કરતા રોજમદારોને 30 દિવસનો પગાર આપવો, મેડીકલ ભથ્થું આપવું, જાહેર રજાનો લાભ આપવા ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો છે. તેમ છતાં હાઇકોર્ટ હુકમનો ભંગ કરવામાં આવી રહ્યો છે. કોર્ટનો સ્ટે હોવા છતાં રોજમદારોને કોર્ટમાંથી કેસ પાછો ખેંચી લેવા દબાણ કરવા આઉટ સોર્સિંગથી રાખવા દબાણ કરાય છે. કેસ પાછો ન ખેંચતા પગાર બંધ કરી દેવાયો છે. ત્યારે 5 માસનો પગાર, લઘુત્તમ વેતન વગેરે પ્રશ્નો દિવસ 5માં નહી ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની નાનજીભાઇ કોઠીવાળે રોજમદારો વતી ચિમકી ઉચ્ચારી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-in-junagadh-forest-department-employees-who-were-employed-as-laborers-last-064514-5282057-NOR.html

No comments: