Monday, November 10, 2008

ગીરના જંગલમાં બે વર્ષમાં ૭૪ સિંહનો ભોગ લેવાયો

Bhaskar News, Amreli
Sunday, November 09, 2008 00:11 [IST]

ખુલ્લા કૂવા, શિકાર અને ઇલેકિટ્રક તારની વાડના કારણે, ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવા નીકળે છે વનખાતાના અધિકારીઓ

ગીરના જંગલમાં આવેલા મિતિયાળા ગામ પાસે શુક્રવારે બે સિંહના ખુલ્લા કવામાં પડી જવાથી મૃત્યુ થયાની ઘટના બાદ જંગલ ખાતાના અધિકારીઓ હવે ગ્રામજનોને સમજાવવા નીકળ્યા છે કે તેઓએ કૂવાને સરકારી યોજનાનો લાભ લઇને બાંધવા જોઇએ અને સિંહના રક્ષણ માટે યથાયોગ્ય મહેનત કરવી જોઇએ. પરંતુ, દર વખતે ઘોડા છૂટી ગયા પછી અધિકારીઓ તબેલાને તાળાં મારવા નીકળ્યા હોય તેવો તાલ-માલને તાસીરો સર્જે છે. એકાદ-બે દિવસ આમથી તેમ હડિયાપટ્ટી કરે ત્યારબાદ ફરી કુંભકર્ણને સારા કહેવડાવે છે.

એક માહિતી મુજબ, છેલ્લા બે વર્ષમાં ૭૪ સિંહોના અપમૃત્યુની માહિતી સાંપડે છે. મૃત્યુના કારણોમાં વૃદ્ધાવસ્થા, ઇલેકિટ્રક શોક, શિકારનો ભોગ અને અસુરક્ષિત કૂવામાં પડવાથી મૃત્યુ થયાં છે. આ મૃત્યુના કારણો વિષયક નથી, તેના નિવારણ વિશે અથવા તો મૃત્યુઆંક ઘટાડવાના કોઇ નક્કર પગલાં લેવાતાં જયારે સિંહના મૃત્યુના સમાચારો આવે ત્યારે થોડા દિવસ કામગીરી હાથ ધરી પછી જૈસે થેની સ્થિતિ સર્જાય છે. સાવરકુંડલાના મિતિયાળા ગીરને અભયારણ્ય જાહેર કરાયા બાદ શુક્રવારે જ બે સિંહના ખુલ્લા કૂવામાં પડવાથી મૃત્યુ નીપજયાની ઘટના તાજી છે.

વનવિભાગમાંથી મળતી માહિતી મુજબ, દેશના અભયારણ્યમાં ૨૭૫ જેટલા સિંહોની વસતી છે. જયારે સિંહની વસતી સામે ૧૦૦ કરોડની માનવ વસતી છે, જેથી માનવ વસતી સામે સિંહોની સંખ્યાનો આંકડો ઘણો નાનો ગણાય અને તેમાં ઉપરોકત મૃત્યુઆંક છેલ્લા બે વર્ષનો વિક્રમજનક ગણાય. છેલ્લા ૧૦ વર્ષના જન્મ-મૃત્યુદરનું પ્રમાણ શોધી તેના નક્કર કારણો માટે જવાબદારોને દંડ કરવો જરૂરી છે. પરંતુ, ખરેખરા ગુનેગારો તો પડદા પાછળ સુરક્ષિત હોય છે.

જંગલખાતાના પ્રતિબંધિત વિસ્તારમાં અજાણ્યા લોકો આવે, ગેરકાનૂની પ્રવૃત્તિઓ થાય અને જંગલખાતાના અધિકારીઓને ખબર ન પડે તે કેટલી શરમજનક ઘટના ગણાય. આ તો ‘ખાળે ડૂચા અને દરવાજા મોકળા’ જેવો ઘાટ ઘડાય છે. તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે તેવી ઉકિત આપણા જંગલ ખાતાના અધિકારીઓને લાગુ પડે છે. કારણ કે, જયારે સિંહના મૃત્યુના સમાચાર આવે ત્યારે જંગલખાતાના અધિકારીઓ ઊઘતા ઝડપાય અને સફાળુ તંત્ર જાગે છે. જેથી ઉચ્ચ અધિકારીઓએ આવા બનાવોની ગંભીર નોંધ લેવી ઘટે.

અન્ય એક માહિતી મુજબ, છેલ્લા બે વર્ષમાં ગીર અભયારણ્ય વિસ્તારમાં સિંહોની સુરક્ષા માટે ૪ હજાર જેટલા ખુલ્લા કૂવાઓને સુરક્ષિત કરવામાં આવ્યા છે અને મિતિયાળા અભયારણ્ય બોર્ડર વિસ્તારમાં જંગલખાતા દ્વારા સને ૨૦૦૭/૦૮ના વર્ષ દરમિયાન ખુલ્લા કૂવાઓને સુરક્ષિત કરવાના અભિયાન અંતર્ગત કુલ ૧૦૨૩ કૂવાઓને સુરક્ષિત બનાવાયા છે. ઉપરાંત ચાલુ વર્ષમાં પણ ૪૫૦ જેટલા ખુલ્લા કૂવાઓને સુરક્ષિત કરવામાં આવ્યા છે.

ત્યારે ખુલ્લા કૂવાઓને સુરક્ષિત કરવાની યોજના અમલમાં હોય તો પછી અભયારણ્ય બોર્ડરના ખેડૂતોએ પોતાની સામાજિક અને રાષ્ટ્રીય ફરજ સમજી યોજનાનો લાભ લેવો જોઇએ. હજુ ગઇકાલે જ મિતિયાળામાં બે સિંહના મૃત્યુ થયા બાદ આજે કષ્ણગઢ અને બગોયા ગામમાં સાવરકુંડલા વનવિભાગ દ્વારા ખેડૂતો સાથે મિટિંગો યોજાનાર છે અને મિટિંગોમાં બન્ને ગામોના ખેડૂતોને ખુલ્લા કૂવાઓ સુરક્ષિત કરવા તેમજ સિંહોનું રક્ષણ કરવા અનુરોધ કરનાર છે.

આ બન્ને ગામો મિતિયાળાથી બે-ત્રણ કિલોમીટરના અંતરે આવેલા છે. આમ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવાની ઉકિતનો જંગલખાતાના અધિકારીઓ અમલ કરે છે, પરંતુ જો આવી મિટિંગો સિંહનાં મોત પહેલાં કરવામાં આવી હોત તો શુક્રવારે બનેલી ઘટના ઘટી ન હોત તેમજ આવી ઘટનાઓ આગામી સમયમાં ન બને તે માટે ખેડૂતોએ પણ ગંભીરતા રાખી સિંહ સુરક્ષામાં પોતાનું યોગદાન આપવું અનિવાર્ય-ફરજરૂપ બની જાય છે.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/09/0811090012_74_lion_death.html

No comments: