Wednesday, November 12, 2008

આ વખતે પરિક્રમામાં રેકોર્ડબ્રેક મેદની.

Bhaskar News, Junagarh
Tuesday, November 11, 2008 23:22 [IST]

૧૩ લાખ જેટલા ભાવિકોએ આ અનોખી પરિક્રમાનો લહાવો લીધો

ગિરનાર પરિક્રમામાં આ વર્ષે વિક્રમજનક સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા. અત્યાર સુધીમાં વન વિભાગ દ્વારા નોંધાયેલ પરિક્રમાર્થીઓની સંખ્યા સાડા નવ લાખ જેટલી થવા જાય છે. ગણત્રી પહેલા સાડાત્રણ લાખ લોકોએ પરિક્રમા કરી હોઈ ભાવિકોની સંખ્યા અધધ ૧૩ લાખને આંબી જવાનો અંદાજ છે. જો કે, હવે પરિક્રમાર્થીઓ પરત ફરી રહ્યાં છે. પરિક્રમા તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે.

જયા ગિરનારીના ઘોષ સાથે ગત તા.૯ નવે. નાં રોજ સત્તાવાર રીતે શરૂ થયેલી ગિરનારની પરિક્રમા આમતો ૧૩ નવે. સુધી ચાલુ રહેશે. પરંતુ ભાવિકોએ ૩-૪ દિવસ અગાઉથી જ પરિક્રમાશરૂ કરી દેતા તે હવે અંતિમ ચરણમાં પહોંચી ચૂંકી છે. વન વિભાગના નળ પાણીની ઘોડી ખાતે રખાયેલા ગણત્રી પોઈન્ટ ખાતે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૯ લાખ ૪૦ હજાર ૫૧૫ ભાવિકો નોંધાયા છે. સાડા ત્રણ લાખ ભાવિકો ગણત્રી શરૂ થયા પહેલા જ નળપાણીની ઘોડી વટાવી ચૂકયા હતા.

આમ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં આશરે ૧૩ લાખ ભાવિકોએ પરિક્રમા કર્યાનો અંદાજ છે. ભૂતકાળમાં કયારેય આટલી મોટી સંખ્યામાં ભાવિકો નોંધાયા નથી. દરમ્યાન ઝીણાબાવાની મઢી તરફના જંગલમાં ભાવિકોની ઉપસ્થિતી ઓછી થઈ ગઈ છે. આથી આ વિસ્તારમાં મોટા ભાગના અન્નાક્ષેત્રો સમેટી લેવાયા છે. જયારે બોરદેવી તરફ ભાવિકોની ભારે ભીડ હોઈ એ તરફ અન્નાક્ષેત્રોના રસોડા ૨૪ કલાક ધમધમી રહ્યાં છે.

જો કે, અત્યાર સુધીમાં મોટા ભાગના લોકોએ પરિક્રમા પૂર્ણ કરી વતનની વાટ પકડી લીધી છે. જંગલમાં હજુયે એક લાખ જેટલા ભાવિકોની હાજરી હોવાનું જાણવા મયું છે. ભાવિકોનો સૌથી વધુ ઘસારો ગઈકાલ તા.૧૦ના રોજ રહ્યો હતો. આ સાથે બહાર ગામથી પરિક્રમા શરૂ કરવા આવનારાઓની સંખ્યા નહીંવત છે. જયારે પરત જતા ભાવિકો વડે માર્ગોઉભરાઈ રહ્યાં છે.

માળવેલાની ઘોડીએ ૧ નું મોત

ગિરનારની પરિક્રમા દરમ્યાન દર વર્ષે માળવેલા અને નળપાણીની ઘોડી ચઢતી વખતે લગભગ રોજ એકાદ ભાવિકનું હદયરોગના હૂમલાથી અચૂકપણે મોત થયા છે. જયારે આ વર્ષે પરિક્રમા દરમ્યાન ફકત એક જ પરિક્રમાર્થીનું હદયરોગના હૂમલાથી મોત થયું.

એક જ દિવસમાં ૧૨ લાખની આવક

પરિક્રમાર્થીઓની વધી ગયેલી સંખ્યા અને વ્યવસ્થિત સંચાલનને પગલે આ વખતે જૂનાગઢ એસ.ટી.વિભાગને જાણે કે તડાકો પડયો છે. તેમાંયે તા.૧૦ નવે. ના રોજ પરિક્રમાની એક જ દિવસની આવક રૂ.૧૨ લાખે પહોંરયાનું વિભાગીય નિયામક સંજય જોષીએ જણાવ્યું હતું.

પરત જવા છાપરાં પર મુસાફરી

ગિરનાર પરિક્રમામાં આવવા માટે દર વર્ષે ભાવિકોએ ટ્રેન બસનાં છાપરા ઉપર મુસાફરી કરવી પડે છે. એવી જ હાલત હવે પરત જતી બસ ટ્રેનોમાં પણ જોવા મળી રહી છે.

પરિક્રમા બની સંભારણું

ગિરનારની પરિક્રમા દરમ્યાન આ વર્ષે સતત ૩ દિવસ સુધી સિંહોએ પરિક્રમા માર્ગ પર દેખા દીધી. જે ભાવિકોએ તેને નજરોનજર જોયા તેને માટે આ વખતની પરિક્રમા જીવનનું એક યાદગાર સંભારણું બની ગઈ.

Source: http://www.divyabhaskar.co.in/2008/11/11/0811112324_junagarh_parikrama.html

No comments: