Sunday, June 1, 2014

વ્હેલશાર્કને બચાવવામાં જૂનાગઢ દેશમાં બીજા નંબર.

Bhaskar News, Junagadh | May 29, 2014, 01:46AM IST
જૂનાગઢ વન વિભાગને ઇન્ડિયા બાયો ડાવર્સિ‌ટી એર્વોડ એનાયત કરાયો

શેડયુલ-૧માં આવતી વ્હેલ શાર્કને બચાવવામાં જૂનાગઢ વન વિભાગનો સિંહફાળો રહ્યો છે. વર્ષ ૨૦૦૧થી આજ સુધીમાં જાળમાં ફસાયેલી ૪૦પ વ્હેલ શાર્કને મુકત કરાઇ છે. જે બદલ ભારત સરકારનાં વન અને પર્યાવરણ મંત્રાલય, યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામનાં સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ વન વિભાગને ઇન્ડિયા બાયોડાવર્સિ‌ટી એર્વોડ એનાયત કરવામાં આવ્યો છે. વ્હેલને બચાવવામાં જૂનાગઢનો દેશમાં બીજો ક્રમ રહ્યો છે.

તાજેતરમાં આંદામાન ટાપુ ખાતે કેન્દ્ર સરકારનાં વન અને પર્યાવરણ મંત્રાલય અને યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામનાં સંયુક્ત ઉપક્રમે ૨૦૧૪ ઇન્ડિયા બાયોડાવર્સિ‌ટી એર્વોડનો કાર્યક્રમ યોજાયો હતો. આ એર્વોડનો હેતુ ભારત દેશની ઘનિષ્ઠ જૈવ વૈવિધ્યતાનું રક્ષણ તેમજ જન જાગૃતિ માટે છે. આ એર્વોડ કાર્યક્રમમાં કુલ ચાર કેટેગરીમાં ભારતભરમાંથી કુલ ૧પ૦ નોમીનેશન થયા હતા.

આ પૈકી કો-મેનેજમેન્ટ કેટેગરી અંતર્ગત વ્હેલ શાર્ક સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગમાંથી જૂનાગઢ વન વિભાગને એર્વોડ બીજા નંબરે એનાયત કરવામાં આવ્યો હતો. સોરઠનાં દરિયા કિનારે વન વિભાગ, વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, ટાટા કેમીકલ્સ, દરીયા કિનારાનાં માછીમારો તથા એનજીઓ સંસ્થા દ્વારા વ્હેલ શાર્કને બચાવવાનુ અભિયાન ચાલી રહ્યું છે. જેમા આજ સુધીમાં ૪૦પ વ્હેલ શાર્કને બચાવવામાં આવી છે. અને માછીમારોને નુકસાની પેઢે રૂપિયા ૬૧ લાખ ચુકવવામાં આવ્યા છે. તેમ ડીએફઓ આરાધના શાહુએ જણાવ્યું હતું.
વ્હેલશાર્કને બચાવવામાં જૂનાગઢ દેશમાં બીજા નંબર

No comments: