Wednesday, June 4, 2014

સોનરખમાં ફેંકાઈ રહેલી ગિરનારની શિલાઓ, માટી.

Jun 03, 2014 23:59

  • પાણીના વહેણને નૂકસાન થવાની ભીતિ ઃ શિલાઓ બહાર કઢાવી નિયમ પ્રમાણે શહેરની બહાર દૂર મૂકાવવા માગણી
 
જૂનાગઢ : ભવનાથમાં ચાલી રહેલી ફોરટ્રેક રોડની કામગીરી દરમિયાન તોડવામાં આવેલી ગિરનારની મોટી મોટી શિલાઓ સોનરખ નદીમાં ફેંકવામાં આવી રહી હોવાની રાવ સાથે આ અંગે પગલા લેવાની માગણી કરાઈ છે. આ શિલાઓ દ્વારા નદીનું વહેણ બુરાઈ રહ્યું હોવાની રજૂઆત કરવામાં આવી છે. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખે કમિશનરને પત્ર પાઠવીને જણાવ્યુ છે કે, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢથી ભવનાથને જોડતા પાજનાકા પુલ તથા આજુબાજુના ફોરટ્રેક બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. આ કામગીરી થોડી ઝડપી કરવાની જરૃર છે. સાથે સાથે ઉપરવાસના ભાગેથી તોડવામાં આવતી મસમોટી શીલાઓને ડ્રીલર મારફત ટુકડાઓ કરી ત્યાં જ દામોદરકુંડની નદીના વહેણની વચ્ચે જ કોન્ટ્રાકટરો દ્વારા નાખવામાં આવે છે. જેના કારણે આગામી સમયનાં વરસાદ દરમિયાન પાણીનું વહેણ રોકાય તેવી સ્થિતીમાં છે. નિયમ અનુસાર જ્યારે પણ આ પ્રકારની શિલાઓ કે મોટા પથ્થરો કાઢવામાં આવે ત્યારે શહેરથી દુર અથવા નિર્જન વિસ્તારોમાં મુકવામાં આવે છે. પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગરી પુર્ણ કરવાની ઉતાવળના ભાવ સાથે આ તમામ શિલાઓને નદીના વહેણમાં ગોઠવી આપેલ છે.જે ખરેખર પુર આવે તો લોકોના જાનને તથા જાનવરોને પણ નુકશાનકારક છે. ત્યારે તાત્કાલીક વહેણમાં નખાયેલા તમામ મોટી શીલાઓને વહેણમાંથી દુર કરી શહેરની બહાર મુકરવામાં આવે અને મોનસુન પહેલા કામગીરી પુર્ણ કરવાની માંગણી કરી છે.
  • વોંકળા સાફ ન કરતું મહાપાલિકા નદી બુરે છે !!
જૂનાગઢ શહેર ભાજપના મહામંત્રી ચંદ્રેશભાઈ હેરમાએ આ અંગે ફરિયાદ કરતા જણાવ્યું છે કે, સોનરખ નદી વનવિભાગ હસ્તક આવે છે. અશોક શિલાલેખથી ખાખચોક સુધીના માર્ગમાંથી તોડાયેલા પથ્થરો તેમાં નાખવામાં આવે છે. એક તરફ મહાપાલિકા વોંકળાની સફાઈ કરી શકતું નથી તેની સામે નદીઓ બુરી રહી છે. આ માટી અને પથ્થરો પાણી સાથે આગળ જવાથી નાના ચેકડેમો પણ પુરાઈ જશે. આ ઉપરાંત વધારે પુર વખતે દામોદર કૂંડ ખાતે મૂશ્કેલ સ્થિતિ સર્જાશે. ત્યારે આ અંગે મહાપાલિકાની સાથે સાથે વનવિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી તેમણે કરી છે.

No comments: