Sunday, June 1, 2014

માંગરોળનાં શેરીયાજમાં સાવજે વધુ એક માલઢોરનો કર્યો શિકાર.

માંગરોળનાં શેરીયાજમાં સાવજે વધુ એક માલઢોરનો કર્યો શિકાર
Bhaskar News, Mangrol | May 28, 2014, 23:59PM IST
- ફફડાટ : વન્યપ્રાણીઓ માનવ વસાહતમાં આવી રહ્યાં છે
- પશુપાલકોમાં ભયની લાગણી છવાઈ


માંગરોળ તાલુકાનાં શેરીયાજ ગામે ગતરાત્રીનાં સિંહે વધુ એક પશુનું મારણ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે.શેરીયાજનાં રાતડા વાડી વિસ્તારમાં પરેશભાઇ ગોવિંદભાઇ રાઠોડનાં ફળીયામાં બાંધેલી પાડી પર ગતરાત્રીનાં સિંહ ત્રાટક્યો હતો. જ્યાં દોરડું તોડી પાડીને ઢસડીને ૧૦૦ મીટર દૂર લઇ જઇ તેનું મારણ કર્યુ હતું. સવારે પશુપાલકને આ વાત ધ્યાને આવતા વનતંત્રને જાણ કરી હતી. છેલ્લા પાંચ દિવસમાં સિંહે આ વિસ્તારમાં બે દુઝાણા પશુઓનો શિકાર કરતા લોકો ભયભીત બન્યા છે. આ અંગે શેરીયાજનાં અગ્રણી દાનાભાઇ ખાંભલા ગ્રામજનો સાથે મામલતદારને રજૂઆત કરનાર છે.

માળિયાહાટીનાનાં ઘુંઘટીમાં દીપડાએ કર્યો ગાયનો શિકાર
માળિયાહાટીના : માળિયાહાટીનાનાં ઘુંઘટી ગામે ભુરાભાઇ બાવાભાઇ જેઠવાની વાડીનાં મકાનમાં ફળિયામાં બાંધેલી ગાય પર મધરાત્રે દીપડાએ હૂમલો કરી તેને ફાડી ખાધી હતી. આ બનાવનાં પગલે આરએફઓ ભાનુબેન ડોડીયા સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવી રોજકામ કરી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે.

No comments: