Tuesday, June 30, 2020

કામગીરી / ગિરનાર રોપ-વે : 15 % કામગીરી બાકી

  • એશિયાના સૌથી મોટા રોપ વે પ્રોજેક્ટની જાત માહિતી મેળવતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
  • નવેમ્બર-ડિસેમ્બરમાં કામગીરી પૂર્ણ થઇ જવાની સંભાવના : ગાંધીનગર ખાતે બેઠક બોલાવી તમામ કામગીરીની તલસ્પર્શી વિગતો મેળવી, જરૂરી સુચનાઓ આપી

દિવ્ય ભાસ્કર

Jun 28, 2020, 05:30 AM IST

જૂનાગઢ. જૂનાગઢ ખાતે એશિયાના સૌથી મોટા રોપ વે પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. દરમિયાન આ કામગીરી કેટલે પહોંચી છે? તેટલી કામગીરી બાકી છે? ક્યારે પૂરી થવાની છે? તે અંગેની તમામ તલસ્પર્શી વિગત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મેળવી હતી. ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક બેઠક બોલાવી હતી જેમાં રોપ વે કામગીરી સાથે સંલગ્ન અધિકારીઓને બોલાવી તેમની પાસેથી વિગતો મેળવી હતી. આ કામગીરી ક્યારે પૂરી થવાની છે અને ક્યારેક ગિરનાર રોપ-વે શરૂ થઈ શકે છે એની તમામ શક્યતાઓ અંગેની માહિતી મેળવી હતી.

દરમિયાન આ અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર ડોક્ટર સૌરભ પારધીએ જણાવ્યું હતું કે નવેમ્બર-ડિસેમ્બરમાં રોપવે ચાલું થઇ જવાની સંભાવના હાલના તબક્કે વ્યક્ત થઈ રહી છે. ગિરનાર રોપ-વેની કામગીરી પૂર્ણ થયા બાદ જ્યારે ગિરનાર રોપ-વે શરૂ થઈ જશે ત્યારે જૂનાગઢની આર્થિક સમૃદ્ધિના દ્વાર ખૂલી જશે. રોપ-વે શરૂ થવાની સાથે જૂનાગઢ જિલ્લાના પ્રવાસન ક્ષેત્રનો પણ વિકાસ થશે. જેને કારણે જૂનાગઢ નું નામ વિશ્વના પ્રવાસન નકશામાં આવી જશે.  દરમિયાન ગીરનાર રોપ વેની કામગીરી સાથે સંકળાયેલા  અધિકારીઓએ જણાવ્યું હતું કે 85 %  કામગીરી પૂર્ણ થઇ ગઈ છે હવે માત્ર 15 % કામગીરી બાકી છે. આ કામગીરી પણ યુદ્ધના ધોરણે પૂરી કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે.

લોકડાઉનને કારણે કામગીરીમાં મોડું થયું 
લોકડાઉનના કારણે ગિરનાર રોપ-વેની કામગીરીમાં વિલંબ થયો છે. આંશિક રૂપે પણ કામગીરી શરૂ કરાઇ હતી. લોકડાઉનમાં અનેક મજૂરો વતન જતા રહેતા કામગીરીમાં વિક્ષેપ પડયો હતો. છતાં હાજર રહેલા મજુરોથી કામગીરી કરવામાં આવી હતી જેમાં 6 નંબર અને 3 નંબરના ટાવર ઉભા કરાયાં છે.

હાલ 80 થી 100 જેટલા મજુરો કામ કરી રહ્યા છે 
ગિરનાર રોપ-વેની કામગીરી પૂરી કરવા માટે હાલ 80 થી 100  જેટલા મજૂરોને કામે લગાડવામાં આવ્યા છે. તેમના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જેથી નવેમ્બર-ડિસેમ્બર પહેલા પ્રોજેક્ટ સંપન્ન થઈ જાય અને ત્યારબાદ રોપ વે શરૂ થઈ જાય અને લોકો તેનો લાભ લઇ શકે. 
15 % માં આ કામગીરી બાકી 
ગિરનાર રોપ-વેની 85 % કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. હવે માત્ર 15%  કામગીરી બાકી છે જેમાં ફિનિશિંગ લેવલીંગનું કામ બાકી છે.  જે પણ સત્વરે પૂર્ણ કરવા માટેની કામગીરી હાથ ધરાઈ રહી છે.

રાજ્યના સીએમ એ મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી  
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ  ગિરનાર રોપ-વેની થતી કામગીરીની રૂબરૂ મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાની પણ ચર્ચા થઈ રહી છે. દરમિયાન આ અંગે ગિરનાર રોપ વેની કામગીરીના અધિકારીઓએ એ માટે પૂરતી વ્યવસ્થા હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને અંબાજી મંદિર પાસે હેલીપેડ હોય ત્યાં હેલીકોપ્ટરથી ઉતરીને રૂબરૂ મુલાકાત લઈ શકવાની સંભાવના હોવાનું જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/girnar-ropeway-15-operation-pending-127453480.html

No comments: