Tuesday, June 30, 2015

શેત્રુંજીનું પૂર સાવજોને તાણી ગયું, સિંહણના હર્યા-ભર્યા પરિવારનો કચ્ચરઘાણ.


શેત્રુંજીનું પૂર સાવજોને તાણી ગયું, સિંહણના હર્યા-ભર્યા પરિવારનો કચ્ચરઘાણ

  • Bhaskar News, Amreli-Liliya
  • Jun 27, 2015, 20:42 PM IST
- શેત્રુંજીનું ધસમસતુ પૂર આસપાસના વિસ્તારમાં વસતા સાવજોને તાણી ગયું
- શેત્રુંજી નદીનું ધસમસતું પૂર સાવજોને તાણી ગયું : હર્યા-ભર્યા સિંહ પરિવારનો કચ્ચરઘાણ
- શેત્રુંજીના પાણીએ વન્યપ્રાણીઓનો સોથ બોલાવ્યો
- ક્રાંકચ નજીકથી બે, પાલીતાણા નજીકથી બે તથા પીપરડીમાંથી એક સિંહનો મૃતદેહ મળ્યો
- નવ સિંહોના મોત જ્યારે 15 હજુ ગુમ
 
અમરેલી/લીલીયા : અમરેલી જીલ્લાની શાન સમા ક્રાંકચ પંથકના સાવજ પરિવારનો કચ્ચરઘાણ બોલી ગયો છે. શેત્રુંજી અને તેમાં ભળતી અન્ય નદીઓએ અહીંનું ઘરેણુ ગણાતા સાવજોને પૂરની ગર્તામાં ધકેલી દીધા છે. નિષ્ફળ વનતંત્રની લાચારી વચ્ચે પૂરના કારણે નવ સાવજોના મોત થયાનું બહાર આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં હાહાકાર મચી ગયો છે. ગુરુવારે બવાડીમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યા બાદ શુક્રવારે ક્રાંકચ નજીકથી સિંહ તથા સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. તો પૂરમાં તણાયેલા બે સિંહના મૃતદેહ પાલીતાણાના જીવાપર નજીકથી મળ્યા હતાં. જ્યારે પીપરડીમાંથી પૂરમાં તણાયેલો સિંહ મળી આવ્યા બાદ તેનું સારવારમાં મોત થયુ હતું. એક સિંહનો મૃતદેહ ચાંદગઢની સીમમાં પડયો હોવાનું જાણવા મળેલ છે. જ્યાં તંત્ર પહોંચ્યુ નથી. મળેલા મૃતદેહોની સામુહિક અંતિમ વિધિ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કરે અહેવાલ દ્વારા એક સપ્તાહ પહેલા જ ક્રાંકચ પંથકમાં સિંહો પર શેત્રુંજીના પૂરનો ખતરો હોવાનું ધ્યાન દોર્યા બાદ પણ તંત્ર નહી જાગતા અમરેલી જીલ્લાના ઘરેણા સમાન ક્રાંકચના સાવજોની ભારે ખાનાખરાબી સર્જાય છે. શેત્રુંજીના કાંઠાળ વિસ્તારમાં હજુ તંત્ર ક્યાંય પહોંચી શક્યુ નથી. ત્યાં જ આવી ખાનાખરાબી બહાર આવી છે ત્યાં આવનારા દિવસોમાં ચિત્ર શું હશે તે કલ્પના જ ધ્રુજાવી મુકે તેવી છે.
 
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરી કહ્યું હતું કે સાત સિંહોના મોત થયા છે જ્યારે 15 સાવજ હજુ ગુમ છે. જંગલ ખાતાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજ્બ, મૃતદેહ શોધવાનું કામ શેત્રુંજીના કિનારે કાંક્રચ એરીયામાં ચાલુ છે. મૃત્યુઆંક વધી શકે છે. અત્યાર સુધીમાં કુલ 9 મૃતદેહ મળ્યા છે. 2 લિલિયાના ગાગડીયા પુલ પાસેથી 2 પાલિતાણાના જીવાપરના કિનારા પાસેથી 1 લીલીયાના બવાડી ગામેથી મોટાભાગે લીલીયા વિસ્તારમાં જ સિંહો મૃત્યુ પામ્યા છે. હજુ મૃતદેહોની શોધખોળ ચાલુ છે. કાંક્રચ પાસેથી વધુ એક સિંહનો મૃતદેહ મળ્યો છે, ભાવનગરના તળાજા પાસેથી પણ એક સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. 1 પીપરડી અને 1 ઈંગોરાળામાંથી સિંહ બચાવી લેવાયા છે.

શુક્રવારે ક્રાંકચ નજીક ખારી વિસ્તારમાં ગાગડીયા નદીના પટમાંથી આઠ વર્ષના એક કદાવર સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઉપરાંત અહિં એક સિંહબાળનો પણ મૃતદેહ મળી આવતા સ્થાનિક વનકર્મીઓ ગારો ખુંદી આ બન્ને મૃતદેહોનો કબજો લેવા મોડી રાત્રે કામે લાગ્યા હતાં. આવી જ રીતે સાવરકુંડલા રેન્જમાં પીપરડી ગામે શેત્રુજીના પૂરમાં તણાઇને આવેલી એક સિંહણ જીવીત બચી ગયા બાદ તેને સારવાર માટે ધારી લઇ જવાઇ હતી. પાંચ વર્ષની આ સિંહણના ફેફસાંમાં પાણી ભરાઇ જતા તેનું સારવારમાં મોત થયુ હતું.
 
લીલીયા પંથકનું શેત્રુજીનું તમામ પાણી પાલીતાણાના શેત્રુજી ડેમમાં ઠાલવાયુ હતુ ત્યારે લીલીયાથી પાલીતાણા સુધીની પટ્ટીમાં સિંહોના મૃતદેહ મળવાની આશંકા વચ્ચે આજે પાલીતાણાના જીવાપર અને ગાજરીયા ગામની સીમમાં શેત્રુજી નદીના પટમાંથી એક સિંહણ તથા એક સિંહનો મૃતદેહ મળી આવ્ય હતો. આ બન્ને મૃતદેહો પુરમાં તણાયને અહિં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે લીલીયાના બવાડી ગામમાંથી પણ એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઉપરાંત અમરેલી તાલુકાના ચાંદગઢ ગામની સીમમાં નદીના કાદવમાં એક સિંહનો મૃતદેહ હોવાનું પણ જાણવા મળેલ છે. જ્યાં સુધી હજુ તંત્ર પહોંચી શક્યુ નથી. આ વિસ્તારમાં 40 સિંહનો પરિવાર વસે છે. જે રીતે શેત્રુજીએ તારાજી સર્જી છે તે જોતા કેટલા સિંહ બચશે તે કહેવુ મુશ્કેલ છે.
 
વધુ બે સાવજો તણાઇ ગયા
દરમીયાન અન્ય બે સાવજો પણ પુરમાં તણાયા છે. સાવરકુંડલાના ભમોદ્રા નજીક એક સિંહણ પુરમાં તણાઇ ગયા બાદ જેમ તેમ કરી બચી હતી. જેને સારવાર માટે વનતંત્ર દ્વારા મહુવા લઇ જવાઇ છે. જ્યારે એક સિંહ પુરમાં તણાયા બાદ બચી જતા ઇંગોરાળામાં મહાદેવ મંદિરમાં બે દિવસથી ઘુસી ગયો છે. આ સિંહ બિમાર છે. પરંતુ વનતંત્ર ત્યાં પહોંચી શક્યુ નથી.

ફેફસામાં પાણી ભરાવાથી સિંહનું મોત-એસીએફ મુની
ગીર પૂર્વની સાવરકુંડલા રેન્જમાં શેત્રુજીના પુરમાં તણાયેલી સિંહણ પીપરડી ગામેથી ઝડપી તો લેવાઇ પરંતુ તેને બચાવી શકાય નહી. એસીએફ મુનીએ જણાવ્યુ હતું કે આ સિંહણના ફેફસામાં પાણી ભરાઇ ગયુ હતું અને તેના કારણે તેનું મોત થયુ હતું.

No comments: