Wednesday, June 15, 2011

ગીરમાં ગુરૃવારથી વનરાજોનું વેકેશન, લોકો જઈ નહીં શકે.


જૂનાગઢ, તા.૧૩
વિશ્વ પ્રસિદ્ધ એશિયાઈ સિંહોના રહેંણાક વિસ્તાર એવા ગિર અભયારણ્યમાં આગામી ગુરૃવારથી વેકેશન શરૃ થઈ રહ્યું છે. શાળાઓમાં બાળકોનું વેકેશન પૂર્ણ થતાં જ હવે વનરાજો રજા પર જઈ રહ્યા છે. સિંહોના સંવનનકાળ અને ચોમાસાની સિઝનને ધ્યાને લઈને દર વર્ષે વેકેશન રાખવામાં આવે છે. વેકેશન દરમિયાન તમામ પ્રવાસીઓ માટે ગિર અભયારણ્યમાં જવા પર પ્રતિબંધ રહેશે. જો કે સામાન્ય રીતે દર વર્ષે વેકેશન માટે ચાર માસનો સમયગાળો નિયત કરવામાં આવતો હતો. પરંતુ આ વખતે આવો કોઈ સમયગાળો નિયત કરવામાં આવ્યો નથી. ચોમાસુ પૂર્ણ થતા અને રસ્તાઓ વ્યવસ્થિત થતા જ ગિર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લું મૂકી દેવામાં આવશે.
  • ચોમાસુ પુરૃ થતા જ ગીર અભયારણ્ય ખૂલી જશે : વેકેશનનો સમયગાળો અનિશ્ચિત
ગિર અભયારણ્યમાં વસવાટ કરતા વનરાજો આગામી ગુરૃવારથી વેકેશન પર જઈ રહ્યા છે. ચોમાસાના સમગગાળા દરમિયાન સિંહોનો સંવનન સમય શરૃ થાય છે. સિંહોને સંવનનમાં કોઈ પણ પ્રકારની ખલેલ ન પડે તે માટે દર વર્ષે રાબેતા મુજબ ચોમાસામાં વેકેશન રાખવામાં આવે છે. બ્રિડીંગ સમય દરમિયાન સિંહોના સંવર્ધન અને ઉછેરમાં કોઈ માનવીય ખલેલ ન પડે તે જરૃરી છે. તેમજ સંવનનમાં હિંસક પ્રાણીઓને ખલેલ પહોંચે તો માનવી પર હૂમલો કરી બેસતા હોય છે. માટે સિંહોને કૃત્રિમ હિલચાલથી દૂર રાખવા માટે આ પ્રકારનું વેકેશન રાખવામાં આવે છે.
આ અંગે નાયબ વન સંરક્ષક ડો.સંદિપકુમારે વધુમાં જણાવ્યું છે કે, ગિર અભયારણ્યમાં રસ્તાઓ કાચા છે. જેના પર ભરપુર માટી છે. ચોમાસામાં આમ પણ આ રસ્તાઓ વાહન વ્યવહાર માટે યોગ્ય રહેતા નથી. વાહન ચલાવવાથી રસ્તાઓ વધુ ખરાબ પણ થઈ જાય છે. પરિણામે કાયદાકિય જોગવાઈઓના આધારે ગિર જંગલ ચોમાસાની ઋતુમાં બંધ રાખવામાં આવે છે.
દરવર્ષે ચાર માસ માટે નિયત સમયગાળા દરમિયાન સિંહોનું વેકેશન રાખવામાં આવે છે. પરંતુ આ વખતે આવો કોઈ સમયગાળો નિયત કરવામાં આવ્યો નથી. સામાન્ય રીતે ઓક્ટોમ્બરમાં વરસાદની વિદાય થઈ જતી હોય છે. માટે આ વખતે વરસાદ બંધ થયે તરત જ ગિર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લું મૂકી દેવામાં આવશે. વેકેશન ખુલવાની કોઈ ચોક્કસ તારીખ નક્કિ કરાઈ નથી.
દેવળિયા પાર્કમાં નવ સિંહો પ્રવાસીઓ નિહાળી શકશે !!
જૂનાગઢ, તા.૧૩
આગામી ચોમાસા દરમિયાન ગિર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. પરંતુ દેવળિયા પાર્ક રાષ્ટ્રિય ઉદ્યાન પ્રવાસીઓ માટે ખૂલ્લુ જ રહેશે. આ પાર્કમાં નવ સિંહો વસવાટ કરે છે. કુદરતના ખોળે મુક્તમને વિહરતા આ વનરાજોને વેકેશન દરમિયાન પણ પ્રવાસીઓ નિહાળી શકશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=298606

No comments: