Thursday, June 23, 2011

ધારી નજીક પાંચ સાવજ દ્વારા ચાર પશુના મારણ.

Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:22 AM [IST](20/06/2011)
- ધારી તાલુકાનાં મીઠાપુરનાં પાદરમાં પશુના મારણ
- દલખાણીયા તથા આજુબાજુના ગામડાઓમાં સાવજની ભારે રંજાડ
ધારી તાલુકાનાં મીઠાપુર ગામનાં પાદરમાં ગઇકાલે પાંચ સાવજોનાં ટોળાએ ચાર પશુઓને ફાડી ખાતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. સાવજોએ બે બકરી, એક ગાય અને એક વાછરડીનું મારણ કર્યું હતુ.
ધારી તાલુકામાં સાવજો દ્વારા માલધારીઓનાં પશુઓનાં મારણની ઘટના અવારનવાર બનતી રહે છે. પરંતુ ગઇકાલે મીઠાપુરમાં સાવજો દ્વારા એક સાથે ચાર પશુનું મારણ કરવામાં આવ્યુહતુ. દલખાણીયા નજીક આવેલા મીઠાપુર ગામનાં પાદરમાં રાત્રે પાંચ સાવજો અહી આવ્યા હતા. મહમદઅલી અસગરઅલી હિરાણીની વાડીમાં ઘુસી સાવજોએ સૌ પ્રથમ ફળીયામા બાંધેલી બે બકરીને ફાડી ખાધી હતી અને બાદમાં એક ગાય અને એક વાછરડીને પણ ફાડી ખાધી હતી.
વહેલી સવારે વાડી માલિક જ્યારે ફળીયામાં ગાય દોહવા માટે ગયા હતા ત્યારે સાવજ દ્વારા તેનું મારણ કરવામાં આવ્યુ હોવાની જાણ થઇ હતી. ઘટના સ્થળે ચારેય પશુનાં મૃતદેહ જોઇ તેમણે આ અંગે તુરંત વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગનાં સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને જરૂરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.ધારીનાં દલખાણીયા તથા આજુ બાજુનાં ગામડાઓમાં સાવજની ભારે રંજાડ જોવા મળી રહી છે.
ગઇરાત્રીનાં વેલનાથબાપુની જગ્યા પાસે પણ સાવજોએ એક વાછરડીનું મારણ કર્યું હતુ. ઉપરાંત વહેલી સવારે પાંચ વાગ્યે દલખાણીયાનાં બસ સ્ટેન્ડ પાસે પણ સાવજો દેખાયા હતા. પાછલા ૧૫ દિવસથી દલખાણીયા પંથકમાં સાવજોનો ત્રાસ બેહદ વધ્યો છે.

No comments: