Tuesday, March 9, 2010

ઝાકળે ખાખડીનો ભાવ તોડયો

Monday, Mar 8th, 2010, 12:51 am [IST] Bhaskar News, Junagadh

ચાર દિવસમાં ભાવ તળિયે જઈ કિલોએ રૂપિયા એક થઈ ગયો : બજારમાં મબલખ આવક થઈ

ગીર પંથકમાં છેલ્લા ૪ દિવસો દરમ્યાન સવારનાં સમયે પડતી ઝાકળને પગલે આંબા પરથી ખરી પડતી કેરીનું પ્રમાણ વઘ્યું છે. પરિણામે કચુંબર માટે વપરાતી ખાખડીની બજારમાં ભારે આવક થઇ રહી છે. આ સ્થિતિ હજુ બે ત્રણ દિવસ ચાલુ રહી શકે છે, એવું હવામાન નિષ્ણાંતોનું કહેવું છે. તાલાલા તાલુકાનાં આંકોલવાડીનાં ખેડૂત અને કેરીનાં સપ્લાયર મનસુખભાઇ સાવલિયાએ જણાવ્યું હતું કે ‘અમારે ત્યાં છેલ્લાં ૪ દિવસથી ઝાકળ પડવા લાગતાં આંબા પરથી માલ ખરવાનું પ્રમાણ વધી ગયું છે. પરિણામે બજારમાં ખાખડી ઢગલામોંઢે ખડકાઇ રહી છે. હાલ ખાખડીનો ભાવ એક રૂપિયે કિલો થઇ ગયો છે.’હવામાનની આ સ્થિતિ અંગે જૂનાગઢ કષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડો. ડી. ડી. શાહુનું કહેવું છે કે ‘રાત્રે ઠંડી અને દિવસે ગરમીને લીધે સવારે ઝાકળની સ્થિતિ સર્જાય છે. હાલની આ પરિસ્થિતિ હજી બે-ત્રણ દિવસ ચાલું રહેશે. દર વર્ષે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત હોય ત્યારે આવા દિવસો આવી જાય છે. આ વખતે તો ઠંડીનો ગાળો પણ લાંબો ચાલ્યો છે. વાતાવરણની આ સ્થિતિ આપણે ત્યાં વેસ્ર્ટન ડિસ્ર્ટબન્સને આભારી હોય છે.’
Source: http://www.divyabhaskar.co.in/2010/03/08/100308005117_fog_junagadh.html

No comments: