Tuesday, March 9, 2010

મહેસાણામાં ૨૬ વૃક્ષો કાપવા બદલ મામલતદાર સામે ફરિયાદ




ઉત્તર ગુજરાત સમાચાર
આના લેખક છે GSNEWS
સોમવાર, 08 માર્ચ 2010

ગરીબ કલ્યાણ મેળા દરમિયાન

મહેસાણા, તા. ૮
મહેસાણામાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળાના આયોજન માટે ૨૬ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવાના આરોપમાં મેળાના સ્થળ નજીકના ખેતરના માલિકે મહેસાણાના મામલતદાર સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાનો ભંગ કરવાના આરોપમાં મહેસાણા કોર્ટે મામલતદાર સહિત બે આરોપીઓ સામે પોલીસ તપાસનો હુકમ કર્યો છે. કોર્ટે મહેસાણા શહેર પોલીસને તપાસ કરી રિપોર્ટ રજુ કરવાનો આદેશ કર્યો છે. મુખ્યંત્રીના ગરીબ કલ્યાણ મેળામાં વૃક્ષો કાપી નાખવાનો મામલતદાર સામે જ આરોપ મુકાતાં ચકચાર ફેલાઈ છે.
ખેતર માલિકે પોતાના સર્વે નંબરમાં મેળો ન યોજવા લેખિત અરજી આપી હતી ઃ અન્ય બે શખ્સો સામે પણ ફરિયાદ

આ કેસની વિગત એવી છે કે એક મહિના પહેલા તા. ૩-૦૨-૨૦૧૦ના રોજ મહેસાણામાં વિસનગર રોડ ઉપર આવેલી એક નવી બનતી વસાહતમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વસાહતની બાજુમાં જ રામનગરમાં રહેતા પટેલ નારણભાઈ પીતાંબરદાસની ખેતીલાયક જમીન આવેલી છે. આ જમીન તેમના ભાઈ નટુભાઈ પટેલના નામે ચાલે છે અને તેમણે તા. ૨૯-૧-૨૦૧૦ના રોજ મામલતદારને પોતાના નામે ચાલતા સર્વ નંબર ૭૨૪નો ગરીબ મેળા માટે ઉપયોગ ન કરવા લેખિતમાં અરજી આપી હતી.

પરંતુ તેમની લેખિત અરજીની અવગણના કરી મામલતદાર કચેરીએ ૨૬ વૃક્ષો મુખ્યમંત્રીના ગરીબ મેળાના ઉપયોગ માટે કપાવી નાખ્યા હતા. આ અંગે જાણ થતાં મામલતદાર કચેરીને લેખિતમાં અરજી આપતાં સ્થળ ઉપર પંચનામું પણ કરવામાં આવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળામાં ખાનગી માલિકીના ખેડૂતના રૃપિયા ૭૦ હજારના ૨૬ વૃક્ષો કાપી નાખવામાં આવતા પટેલ નારણભાઈ પીતાંબરદાસે એડવોકેટ આર.એન. બારોટ મારફત મહેસાણાના મામલતદાર હરગોવનભાઈ ભીખાભાઈ પરમાર અને વેપારી કનુભાઈ બાબુભાઈ પટેલ વિરૃધ્ધ મહેસાણા ચીફ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. સુનાવણી બાદ કોર્ટે મહેસાણા શહેર પોલીસને તપાસનો હુકમ કરી અહેવાલ મોકલી આપવા આદેશ કર્યો છે.
Source: http://gujaratsamachar.com/beta/

No comments: