Monday, July 29, 2013

લો કરો વાત! દીપડાને અહીં ભૂલાવાય છે દિશા ભાન...

Nimish Thakar, Junagadh   |  Jul 27, 2013, 00:29AM IST



લો કરો વાત! દીપડાને અહીં ભૂલાવાય છે દિશા ભાન...

અનોખી પદ્ધતિ: સાસણનાં રેસ્ક્યુ સેન્ટર ખાતે વનવિભાગ આપે છે દીપડાને મનોવૈજ્ઞાનિક સારવાર
સોરઠ એટલે ગિર અને ગિરનાર જંગલોથી છવાયેલો પ્રદેશ. સિંહ અને દીપડા એટલે અહીંની મુખ્ય વન્ય પ્રજાતિ. બંને પ્રજાતિનાં પ્રાણીઓ લગભગ જંગલની બહારનાં વિસ્તારોમાંજ અવરજવર કરી ત્યાંથી જ ખોરાક મેળવતા હોય છે. સિંહની પ્રકૃતિ બિનજરૂરી હુમલો કરવાની ન હોવાથી તેનાથી ખાસ ફરક પડતો નથી. પરંતુ દીપડો સૌથી વધુ ખતરનાક હોય છે. તેની રંજાડ પણ સૌથી વધુ હોય છે. આથી જ વનવિભાગ તેને એક સ્થળેથી પકડયા બાદ ફરીથી ત્યાં રંજાડ ન કરે એ માટે વૈજ્ઞાનિક છત્તાં 'ઘરેલુ’ નુસ્ખો અપનાવે છે.
લો કરો વાત! દીપડાને અહીં ભૂલાવાય છે દિશા ભાન...
આ અંગે જૂનાગઢ સ્થિત વન્ય પ્રાણી વર્તુળનાં સીએફ આર. એલ. મીના જણાવે છે, સાસણ ખાતે અમે આ માટે ખાસ રેસ્ક્યુ સેન્ટર બનાવ્યું છે. જેમાં ઘરોમાં અવારનવાર ઘુસી જતા, લાંબા સમયથી એક જ ગામમાં રંજાડ કરતા, શેરડીનાં ખેતરોમાં છુપાઇને અવારનવાર હુમલો કરતા, કુવામાં પડી ગયા બાદ બચાવાયેલા દીપડાને પાંજરે પુરી અહીં લાવવામાં આવે છે.

અહીં તેમનાં માટે ખાસ બનાવાયેલા પાંજરામાં તેનાં પાંજરાને મૂકી દેવાય. આખા પાંજરાને બહારથી લીલી નેટથી ઢાંકી અંધારું કરી દેવાય. દીપડાને અહીં નિયમીતપણે ખોરાક-પાણી અને તેના પાંજરાની સફાઇ કરાય છે.તેના પાંજરાને દર બે દિવસે ફેરવી નંખાય છે.

ટુંકમાં આ ૧૦ દિવસ દરમ્યાન દીપડાને તેને જ્યાંથી લવાયો હોય ત્યાંની દિશાનું ભાન ભૂલાવી દેવાય છે.

અંધારા અને પાંજરાની દિશા અવારનવાર ફેરવવાને લીધે આ શક્ય બને છે. ત્યારબાદ તેને અંધારાની સ્થિતીમાંથી જ જંગલનાં સાવ જુદા જ વિસ્તારમાં લઇ જઇ તેને છોડી મૂકવામાં આવે છે.

આ રીતે તેને દિશાભાન ભૂલાવાય છે. જેથી તે એના એ જ સ્થળે ફરીથી ન પહોંચે.

નર-માદાને સાથે છોડાય છે
  દીપડાને જો એકલો જ જંગલમાં છોડાય તો તે કુદરતી ક્રમ મુજબ માદાને શોધવા માટે પણ કદાચ તે જુદા વિસ્તારમાં જતો રહે. આમ કરતો રોકવા તેની સાથે એક માદાને પણ છોડવામાં આવે છે. આથી બંનેને ફક્ત ખોરાકની જ શોધ કરવાની રહે.

No comments: