Wednesday, July 17, 2013

૧૧૦ વર્ષ પહેલા મિડિયાના વિરોધથી ગીરમાં બંધ થયો સિંહોનો શિકાર.


Jul 12, 2013જૂનાગઢ: સાસણમાં આજે સિંહોના સંવર્ધનમાં માધ્યમોની ભૂમિકા અને ઉત્તરદાયિત્વ વિષય ઉપર યોજાયેલા એક સેમીનારમાં મુખ્ય વનસંરક્ષક આર.એલ.મીનાએ જણાવ્યું હતું. વર્ષ ૧૯૦૪ માં જ્યારે લોર્ડ કર્ઝન ગિરમાં સિંહોનો શિકાર કરવા આવ્યા હતાં, ત્યારે મિડિયાએ કરેલા વિરોધને પરિણામે તેઓ પરત જતા રહ્યા હતાં. ત્યારથી સિંહોના શિકારમાં બ્રેક લાગી છે.
  • સમાજ, વનતંત્ર અને સત્તાધિશો વચ્ચે માધ્યમોની ભૂમિકા સેતુરુપ
પ્રદેશિક માહિતિ કચેરી અને નાયબ વન સંરક્ષક(વન્યપ્રાણી વર્તુળ)ના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ માહિતિ કચેરીના સહયોગથી યોજાયેલા આ સેમીનારમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, લોર્ડ કર્ઝને શિકાર કરવાનું તો માંડી વાળ્યું હતું સાથે સાથે નવાબને પણ સિંહોના સંવર્ધનને વેગ આપવા સુચના આપી હતી. તેઓએ એમ પણ કહ્યું હતું કે, સિંહોએ ક્યારેય માનવીને નૂકશાન પહોંચાડયું નથી, તે તેની પ્રકૃતિ નથી. અધિકારીઓ અને માધ્યમો વચ્ચેની હકારાત્મક ભૂમિકા અંગે તેમણે વિસ્તૃતમાં છણાવટ કરી હતી. જ્યારે દૂરદર્શનના જોઈન્ટ ડાયરેક્ટર સંતોષકુમારે જણાવ્યું હતું કે, સમાજ, વનતંત્ર અને સત્તાધિશો વચ્ચે માધ્યમોની ભૂમિકા સેતુરુપ હોય છે. સાસણ વન્યપ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ડો.સંદિપકુમારે એશિયાઈ સિંહોના સંરક્ષણને વૈશ્વિક કક્ષાએ ઉત્કૃષ્ઠ ગણાવીને સિંહ સંવર્ધન અંગેની રસપ્રદ વિગતો આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં અન્ય ૬ સ્થળોએ સિંહોના નવા નિવાસસ્થાનો બની રહ્યા છે. તેઓએ પ્રેઝન્ટેશન દ્વારા આ વિગતો સમજાવી હતી. કાર્યક્રમના પ્રારંભે સ્વાગત પ્રવચન સંયુક્ત માહિતિ નિયામક પરમારે અને આભાર વિધિ નાયબ માહિતી નિયામક એ.પી. જોષીએ કરી હતી.

No comments: