Thursday, November 24, 2011

વેરાવળના ઇશ્વરીયામાં દિપડાનો પરપ્રાંતિય મહિલા ઉપર હુમલો.



વેરાવળ તા.૨૩
 વેરાવળ પંથકમાં દિપડાનો ત્રાસ ફરી વધી રહ્યો છે. વાડીમાં ખુલ્લા ઝુંપડામાં મીઠી નિંદર માણી રહેલા એક પરિવારની મહિલા પર હુમલો કરી આંખ અને હોઠ પર ગંભીર ઇજાઓ કરતા દેકારો મચી જતા નાસી છુટયો હતો.આ મહિલાને વેરાવળ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.વનવિભાગે આ જગ્યાએ પાંજરૂ ગોઠવી દીધુ છે.
  • મહિલાને આંખ અને હોઠના ભાગે ઇજા કરી નાસી છૂટયોઃવનવિભાગે પાંજરૂ ગોઠવ્યુ
ઇશ્વરીયા ગામે ઉકા કરશન જાદવની વાડીમાં ખુલ્લા ઝુંપડા બાંધી મજુરી કામ કરતા લોકો રહે છે અને મજુરી કરી પેટીયુ રળે છે. પરપ્રાંતિય મહિલા રેખાબેન રમેશભાઇ સુમારીયા (ઉ.વ.૩૫) નામની મહિલા ખુલ્લામાં સુતી હતી ત્યારે લાઇટ પણ ન હોય અંધારામાં દિપડાએ આવી હુમલો કરતા આંખ અને હોઠ પર નહોર ભરાવી દીધા હતા.અચાનક જ થયેલા હુમલાથી પરિવારજનો અને આજુબાજુના લોકોએ જાગીને દેકારો મચાવતા આ દિપડો અંધારામાં જ નાસી ગયો હતો.
મહિલાને ગંભીર ઇજાઓ પંહોચાડતા આંખની હોસ્પિટલે અને બાદમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડી ઓપરેશન હાથ ધરાયુ હતુ. આ અંગે વનવિભાગને જાણ કરતા વનવિભાગે આ વાડીમાં પાંજરૂ ગોઠવી દીધુ છે. હાલ શેરડીની કટાઇ ચાલતી હોય દિપડાના હુમલા અને પાંજરે પુરાવાના બનાવોમાં સવિશેષ વધારો થશે કારણ કે આ વિસ્તારમાં દિપડાને ખાવાનુ, છુપાવવાનુ ખેતરો અને કોતરો તથા પથ્થરો અને હિરણનુ પીવાનુ પાણી ત્રણેય મળતા તે સ્થાયી થઇ જાય છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=11290

No comments: