Wednesday, November 9, 2011

૭.૫૦ લાખ ભાવિકોએ પરિક્રમામાં પુણ્યનું ભાથું બાંધ્યું.


Source: Bhaskar News, Junagadh | Last Updated 1:45 AM [IST](09/11/2011)
- ગિરનાર પરિક્રમા પૂર્ણતાના આરે
- ઝીણાબાવાની મઢી વિસ્તાર ‘ખાલી’ થઇ ગયો
ગરવા ગઢ ગિરનારની પાવનકારી પરિક્રમા હવે પૂર્ણતાનાં આરે પહોંચી ચૂકી છે. ઝીણાબાવાની મઢી તરફનું જંગલ લગભગ ‘ખાલી’ થઇ ગયું છે. અત્યાર સુધીમાં આશરે ૭.૫૦ લાખથી વધુ ભાવિકોએ પરિક્રમા પૂરી કરી હોવાનો અંદાજ છે. દરમ્યાન આજે દિવસ દરમ્યાન એકલદોકલ મળી માંડ પંદરસોથી બે હજાર યાત્રાળુઓએ પરિક્રમા શરૂ કરી હતી. જોકે, તેમાં મોટાભાગનાં અÌાક્ષેત્રોનાં સેવાભાવીઓ અને એકલદોકલ સાધુ-સંતોનો સમાવેશ થાય છે.
પરિક્રમામાં હવે નળપાણી અને બોરદેવી તરફ ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. જે આવતીકાલે બપોર સુધીમાં ઓછી થઇ જવાની શક્યતા છે. આજે સાંજે ૭ વાગ્યા સુધીમાં ૭,૫૦,૫૬૫ લોકોએ નળપાણીની ઘોડી વટાવી દીધી હતી. આ ભાવિકો પૈકી ઘણાંએ અત્યારે બોરદેવી મંદિર અને ત્રણ રસ્તા પાસેનાં જંગલમાં પડાવ નાંખ્યો છે. આ વિસ્તારમાં અન્નક્ષેત્રોનાં રસોડાં હાલ ધમધમી રહ્યા છે.
જ્યારે ઝીણાબાવાની મઢી વિસ્તારમાં સંસ્થાઓએ પોતપોતાનાં અન્નક્ષેત્રો સમેટી લીધાં છે. જાતે રસોઇ બનાવતા લોકો મંગાળા માંડી રસોઇ બનાવી વનભોજનનો આનંદ ઉઠાવી રહ્યા છે. મોડી રાતે જૂનાગઢનાં બસ સ્ટેશન કે રેલ્વે સ્ટેશને પહોંચનાર પરિક્રમાર્થીઓએ વ્હેલી સવારની બસ કે ટ્રેન પકડવા આ સ્થળોની લોબીમાં જ રાતવાસો કરી ‘આરામ’ કર્યો હતો. જેના પગલે બસ અને રેલવે સ્ટેશનમાં મુસાફરોનો ધમધમાટ જોવા મળતો હતો.
જૂનાગઢમાં ખાનગી ટ્રાવેલ્સને તડાકો -
પરિક્રમામાંથી પરત ફરતા ભાવિકો પૈકી ઘણાં એસ.ટી. કે રેલ્વેને બદલે ખાનગી ટ્રાવેલ્સમાં જવાનું પસંદ કરતા હોય છે. આથી બસ સ્ટેશન પાસેનાં વિસ્તારોમાંથી ખાનગી બસો ભરાઇ રહી છે. વંથલી દરવાજા, મજેવડી દરવાજા તેમજ સક્કરબાગ પાસે પણ મેઇન રોડ પર પરત જતા યાત્રાળુઓને પીકઅપ કરતાં ખાનગી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.

No comments: