Tuesday, November 22, 2011

લીલીયા પંથક પર પોતાની આણ વર્તાવી રહેલા વનરાજો.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:56 AM [IST](21/11/2011)
શેત્રુંજીનાં પટમાં એક સાવજે નિરાંતે આરામ ફરમાવ્યો
સાવજ એ માત્ર જંગલનો રાજા નથી. સૌરાષ્ટ્રમાં ગીરમાંથી બહાર નીકળેલા સાવજોએ જુદા જુદા વિસ્તારમાં પોતાના પગદંડો જમાવ્યા બાદ આ વાત સાચી સાબિત થઇ છે. હવે લીલીયા પંથક પર સાવજો પોતાની આણ વર્તાવી રહ્યા છે. શેત્રુંજીના કાંઠાળ વિસ્તારોમાં સાવજોએ પોતાનું ઘર વસાવ્યુ છે. ગઇકાલે શેત્રુંજીના પટમાં એક સાવજ નિરાંતે આરામ કર્યા બાદ બિલકુલ બિન્દાસ બની રેતીમાં આળોટતો જોઇ સિંહ પ્રેમીઓ ખુશ ખુશાલ થઇ ગયા હતા.
સાવજો જ્યાં રહે ત્યાં હંમેશા રાજાની જેમ રહે છે. પછી તે ગીરના જંગલને બદલે લીલીયા પંથકમાં શેત્રુંજીનો કાંઠાળ વિસ્તાર કેમ ન હોય. આ વિસ્તારમાં વસતુ સાવજ ગૃપ કોઇપણ પ્રકારના ડર કે ભય વગર કુદરતે આપેલા એક રાજાને શોભે તેવા સ્વભાવ મુજબ હરતુ ફરતુ રહે છે. આસપાસમાં ગમે તેટલા માણસોની અવર જવર હોય તો પણ આ સાવજોને જાણે કશો ફર્ક પડતો નથી.
અહિં વસતા સાવજો વાહનોની સતત અવર જવરથી પણ ટેવાઇ ગયા છે.આજુબાજુમાં ગમે તેટલા માણસો હોય તો પણ આ સાવજો નિરાંતે આરામ કરતા રહે છે. વાહનોનો હોર્નના અવાજની પણ તેઓ દરકાર કરતા નથી. ગઇરાત્રે લીલીયાના ક્રાંકચની સીમમાં શેત્રુંજી નદીના પટમાં આરામ કરતા એક સાવજને જોવા અનેક લોકો એકઠા થઇ ગયા હતા.
જો કે લોકોની દરકાર કર્યા વગર અહિં સાવજ લાંબો સમય આરામ કરતો પડયો રહ્યો હતો અને બાદમાં આળસ મરડી રેતીમાં આમતેમ આળોટ્યો પણ હતો. આ દ્રષ્ય જોઇ સિંહ પ્રેમીઓ ખુશ ખુશાલ થઇ ગયા હતા.
અગીયાર સાવજોએ નિલગાયનું મારણ કર્યું
ક્રાંકચની સીમમાં વસતા વિશાળ સાવજ ગૃપ પૈકી અગીયાર સાવજોના ટોળાએ ગઇકાલે એક નિલગાયનું મારણ કર્યું હતુ અને બાદમાં નિરાંતે પોતાનું પેટ ભયું હતુ. અહિં વસતા સાવજો અવાર નવાર માલધારીઓ અને ખેડૂતોના માલઢોરનું પણ મારણ કરતા રહે છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-thus-in-his-diocese-sleeping-of-lion-2580341.html

No comments: