Thursday, November 17, 2011

ભૂકંપનાં ડરથી બહાર સૂતા અનેક લોકો બિમાર પડયા.


તાલાલા ગીર તા. ૧૬
તાલાલા તાલુકામાં એક માસથી ભૂકંપના આંચકા આવતા હોવાથી લોકો ફફડાટમાં જીવી રહ્યા છે. રાત્રે પણ ઘરમાં સૂઈ શકતા નથી. તમામ લોકો ઘર બહાર ફળિયામાં સૂવે છે. દોરંગી રૂતુ અને મહિનાથી ખૂલ્લામાં સૂવાનાં કારણે અનેક લોકો બીમાર પડી ગયા છે. મેલેરિયા, ટાઈફોઈડ, અને ડેન્ગ્યુ જેવા રોગચાળાનો શિકાર બન્યા છે. ધણેજમાં તો ઘરે-ઘરે માંદગીનાં ખાટલા જેવી સ્થિતિ છે.
  • મેલેરિયા, ટાઈફોઈડ, અને ડેન્ગ્યુ જેવા રોગચાળાનો શિકાર
ગીરના અનેક ગામોમાં લોકોએ કામચલાઉ રહેણાંક ઘરની બહાર ગોઠવ્યા છે. તંત્રે અનેક જગ્યાએ તંબુઓ ફાળવ્યા છે. લોકો રસોઈ પણ, ખુલ્લામાં કરે છે. ધણેજ ગામના યુવા આગેવાન દેવેન્દ્રભાઈ ડોડિયા તેમજ દીનેશભાઈના જણાવ્યા મુજબ દિવસે ગરમી અને રાતે ઠાર પડવાના કારણે ઘણાં લોકો માંદગીમાં સપડાઈ ગયા છે. ધણેજ ગામમાં મેલેરિયા, ટાઈફોઈડ, અને ડેન્ગ્ય રોગનાં અનેક કેસો નોંધાયા છે. જે પૈકી ગામના વેપારી પીઠાભાઈ કરશનભાઈ ડોડિયા (ઉ.વ.૪૪)ને ડેન્ગ્યૂની અસર થતાં તેને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
આજ ગામની ખેડૂત મહિલા શાંતિબેન કેસરભાઈ બારડ જુનાગઢ ખાતે ઝેરી મેલેરિયાની સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત આ ગામના અનેક લોકો ટાઈફોઈડ, ઝેરી મેલેરિયા અને સાદા મેલેરિયાનો શિકાર બન્યા છે. એક બાજૂ ભૂકંપનો ભય, બીજી બાજૂ માંદગીએ લોકોની પરેશાનીમાં વધારો કર્યો છે. આરોગ્ય વિભાગ આવા ગામોમાં આરોગ્ય કેમ્પ ગોઠવી તમામને વિનામૂલ્યે નિદાન-સારવાર મળે એવી સવલત આપે. એમ લોકો ઈચ્છી રહ્યા છે.
તાવથી શ્રમિકનાં મોતની ચર્ચા
તાલાલા ગીર : ધણેજનાં શ્રમિક યુવાન કોળી બાબુભાઈ ટપુભાઈ રાઠોડ (ઉ.વ. ૪૦)ને ઠંડી લાગી જવાના કારણે મોત નીપજયાની ચર્ચા છે. લોકો કહે છે કે, આ યુવાનને કોઈ પ્રકારની બિમારી ન હતી. ખૂલ્લામાં સૂવાના કારણે ઠંડીથી તેમને ભારે તાવ ચડયો હતો. પ્રથમ તાલાલા અને બાદમાં જુનાગઢ અને છેવટે રાજકોટ સારવારમાં ખસેડયો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નીપજયું હતુ. ગામ લોકો કહે છે કે, ભુકંપ પહેલા તેને કોઈ બિમારી ન હતી. ઠંડી લાગતા અને તાવ આવતા મોત નીપજયું છે. આ બનાવની ઉંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ.
૧૬ કલાકમાં ભૂકંપનાં વધુ છ આંચકા
તાલાલા તા.૧૬: તાલાલા પંથકમાં છેલ્લા ૧૬ કલાકમાં ભૂકંપના વધુ ૬ આંચકા નોંધાયા હતા. ડેટા સેન્ટરના જણાવ્યા મુજબ તાલાલા પંથકમાં મંગળવાર રાત્રીના ૧ર.પ૪ કલાકે ર.૦ની તીવ્રતાનો ભારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેનું એપી સેન્ટર તાલાલાથી ૬ કિ.મી. દૂર ઉત્તર દિશામાં નોંધાયું હતું. બાદમાં વહેલી સવારે પ.ર૪ કલાકે ૧.રની તીવ્રતા, બુધવારે બપોરે ૧ર.૪૮ કલાકે ૧.૧ની તીવ્રતા, બપોરે ર.પ૭ કલાકે ર.૧ની તીવ્રતા, ૩.૦ર કલાકે ૧.પની તીવ્રતા, બપોરે ૪.૩૪ કલાકે ૧.૮ની તીવ્રતા સાથે ધરતીકંપના કુલ છ આંચકા આવ્યા હતા. આંચકાઓનું એપી સેન્ટર તાલાલાથી દૂર ઉત્તર પશ્વિમ દિશામાં નોંધાયું હતું.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=8927

No comments: