Saturday, November 26, 2011

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ જવાબદારોને નોટીસ ફટકારી.


Source: Bhaskar News, Kodinar   |   Last Updated 2:15 AM [IST](25/11/2011)
૬ જાન્યુ. સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ: અસરગ્રસ્ત ગામોનાં લોકો દ્વારા વિરોધ ઉઠાવી ટ્રીબ્યુનલમાં ઘા નાખી હતી
કોડીનાર તાલુકાની છારા તથા સરખડી ગામનાં દરિયા કાંઠે શાપુરજી પાલોનજી ગૃપ દ્વારા બનનારા હરિયાળા બંદર અને ૧૩૨૦ મે.વો. ના બે થર્મલ પ્રોજેક્ટ સ્થાપવા તજવીજ હાથ ધરી છે. ત્યારે તેની સામે આ વિસ્તારના અસરગ્રસ્ત ગામોનાં લોકો દ્વારા વિરોધનો વંટોળ ઉઠ્યો છે.
ગ્રામજનો દ્વારા નવી દિલ્હી ખાતેની નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં એક રીટ અરજી દાખલ કરેલ જેની તા. ૨૨ નવેમ્બરે સુનાવણી હાથ ધરાતા ટ્રીબ્યુનલે તમામ જવાબદારોને નોટીસ પાઠવી હતી અને ૬ જાન્યુ. ૨૦૧ર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ જારી કર્યા છે. કોડીનાર તાલુકાનાં છારા અને સરખડી ગામ વિસ્તારમાં જ્યાં આ પ્રોજેક્ટ હાથ ધરાનાર છે ત્યાં થર્મલ પાવરની રાખ અને તાપમાનથી પર્યાવરણીય ગંભીર ખતરો ઉભો થનાર છે.
ગ્રામજનોએ ગ્રીન ટ્રીબ્યુનલનાં ધ્યાન ઉપર આ વાત મૂકી છે કે, હજારો કરોડનાં આ પ્રોજેક્ટથી ગીરનાં સિંહો જે આ કોસ્ટલ બેલ્ટ ઉપરનાં રક્ષિત જંગલોમાં મુકત રીતે ફરે છે તેનો માઇગ્રેશન રૂટ કપાઇ જવાની પુરી શક્યતા છે. વળી આ પ્રોજેક્ટ વિસ્તાર નજીક બે વિશાળ બંધારા તથા ત્રણ રક્ષિત જંગલો પણ આવેલા છે.
જે આ પ્રોજેક્ટથી સંપુર્ણ નાશ પામી પર્યાવરણનું ધનોત પનોત નોતરશે જેમાં કોઇ શંકા નથી ત્યારે મુઢ્ઢીભર લોકોનાં સ્વાર્થ ખાતર આવનારા આ પ્રોજેક્ટ અંગે દિલ્હીની ગ્રીન ટ્રીબ્યુનલમાં રીટ અરજી કરાતા ગ્રીન ટ્રીબ્યુનલે ભારતનાં વન અને પર્યાવરણ મંત્રાલય, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડનાં સભ્ય સચિવ, જૂનાગઢ જિલ્લા કલેક્ટર તેમજ શાપુરજી પાલોનજી એન્ડ કંપનીને નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-national-green-tribunal-against-a-notice-to-all-responsible-2591033.html

No comments: