Monday, March 28, 2011

ખાંભા નજીક બીજે દિવસે પણ સિંહણનો મૃતદેહ મળ્યો.


Monday, March 28
- ભેદી સંજોગોમાં બે-બે સિંહણનાં મોતથી રહસ્યના તાણાવાણા
ગિર પૂર્વમાં વન્ય પ્રાણીઓની જાણે માઠી બેઠી છે. ખાંભાના કંટાળા ગામની સીમમાંથી ગઇકાલે એક યુખ્ત સિંહણનો મૃતદેહ મળ્યા બાદ આ જ સ્થળથી થોડે દૂર ચેકડેમના પાણીમાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. બન્નેમાંથી એકપણ સિંહણના મૃત્યુનું ચોક્કસ કારણ મળી ન શકતા તેના શરીરના જરૂરી નમૂનાઓ પ્úથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. ભેદી સંજોગોમાં બન્ને સિંહણના મોતે અનેક શંકા-કુશંકા જન્માવી છે.
જાણે ફરી એકવાર ગીરપૂર્વ જંગલમાં સાવજોની માઠી બેઠી છે. બે દિવસમાં બે સિંહણના મોતે વનતંત્રને દોડતું કરી દીધું છે. ખાંભા તાલુકાના કંટાળા ગામની સીમમાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળી આવતા વનતંત્ર ઊંધામાથે થયું છે. ગઇકાલે માલણ નદીના કાંઠેથી નવ વર્ષની ઉંમરનો સિંહણનો મૃતદેહ મળ્યા બાદ આજે તેનાથી માત્ર ૨૦૦ મીટર દૂર માલણ નદીના ચેકડેમના પાણીમાં સિંહણનો મૃતદેહ તરતો હોવાની બાતમી મળતા જંગલ ખાતાના અધિકારીઓ જંગી કાફલા સાથે અહીં દોડી ગયા હતા.
અહીં આશરે સાત વર્ષની ઉંમરની સિંહણનો મૃતદેહ પાણીમાં તરતો હતો. જંગલખાતાના સૂત્રોએ જણાવ્યું હતું કે, સિંહણના મૃતદેહ પર ઇજાના કોઇ નિશાન જણાયા ન હતા. ઉપરાંત તેના તમામ નખ પણ ...... હતા. આ સિંહણનો મૃતદેહ ખૂબ જ ફૂલી ગયો હોય, બે ત્રણ દિવસ પહેલાં તેનું મોત થયું હોવાનું મનાઇ રહ્યું છે.
ધારીમાં વેટરનરી ડોક્ટરની જગ્યા ખાલી હોય, પોસ્ટમોર્ટમ માટે સાસણથી ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. આ સિંહણના મોતનું કારણ સ્પષ્ટ થઇ ન શકતા તેના શરીરના જરૂરી નમૂના લઇ પ્રુથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. બે-બે સિંહણનો ભેદી સંજોગોમાં મોત વનતંત્રની કામગીરી સામે પણ સવાલ ઊભા કર્યા છે. ઘટનાને પગલે ડીએફઓ રાજા પણ કંટાળા દોડી ગયા હતા. આ બન્ને સિંહણની કઇ રીતે હત્યા થઇ છે કે કેમ? તે તપાસ માગતો વિષય બન્યો છે.
બન્ને સિંહણનાં મોતનું કારણ અસ્પષ્ટ -
કંટાળાની સીમમાંથી મૃત હાલતમાં મળેલી બન્ને સિંહણો કઇ રીતે મૃત્યુ પામી તે પોસ્ટમોર્ટમ બાદ પણ નક્કી થઇ શકતું ન હતું. ડીએફઓ મનીશ્વર રાજાએ જણાવ્યું હતું કે, વિશેરાનો રિપોર્ટ આવ્યા બાદ જ બન્નેના મોતનું કારણ સ્પષ્ટ થશે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-dead-body-got-near-khambha-of-second-day-1968107.html

No comments: