Tuesday, March 22, 2011

ફળોમાં ઉત્તમ ખાટીમીઠી દ્રાક્ષના ગવાય એટલા ગુણ.

- કેતન ત્રિવેદી
મોંમા પાણી આવે તેવી મનમોહક ખટમીઠી દ્રાક્ષ હવે સર્વત્ર મળે છે. સરખામણીમાં સોંઘી પણ મળે છે. તમને જાણીને આનંદ થશે કે દ્રાક્ષને આયુર્વેદે ‘ફલોત્તમ’ કહીને બધાં ફળમાં સર્વોત્તમ કહી છે. રોજંિદા આહારમાં હંમેશા લીલી કે સુકી દ્રાક્ષ ખાવાનું પણ ‘અષ્ટાંગ હૃદય’માં કહેવામાં આવેલું છે.
કુદરતે માનવજીવનની રક્ષા અને ઉપકારરૂપે અનેક ભેટો આપી છે. બદલાતી ૠતુઓ મુજબ જાત-જાતનાં ફળોનો રસથાળ ઉભરાય છે. જેના ગુણકર્મો અને ગુણધર્મો જેતે ૠતુમાં થતા રોગો સાથે સંબંધિત હોવાનું અનુમાન કરી શકાય. અનેક જાતનાં ફળોમાંથી ઘણાંને અમુક જ ફળો ભાવે તેવું બની શકે. પરંતુ દ્રાક્ષ એક એવું ફળ છે જે મોટાભાગે બધાને ભાવતું જ હોય છે. બાળકથી માંડીને વૃદ્ધસ્ત્રી- પુરૂષ, અમીર-ગરીબ તમામ વર્ગના લોકોને દ્રાક્ષ અતિપ્રિય અને સુલભ પણ છે. કુદરતી મેવામાં ગણાતી આ દ્રાક્ષ, કાજુ, બદામ જેવા સૂકા મેવા કરતા પ્રમાણમાં સસ્તી હોવાથી તે બધાનાં નસીબની મર્યાદામાં આવી શકે છે. બાકી અમુક વર્ષો બાદ તો એવું બનશે કે કાજુ-બદામ કે અંજીર જેવા મેવાનો ભાવ પૂછીશું તો યે પૈસા આપવા પડશે. ટૂંકમાં મોંઘવારીની અતિ ઝડપી સવારી જે રીતે આગળ વધે છે તે રીતે જોતા અમુક સમયબાદ આજે આપણે સરળતાથી જોઇ, ખાઇ શકીએ છીએ. તેમાનું ઘણું બઘું ભવિષ્યમાં માત્ર જોઇ જ શકીશું. દ્રાક્ષની આવી સ્થિતિ આવે તે પહેલાં ખાઇ લેવાની તક મેળવી લેવા જેવી છે. દ્રાક્ષની મીઠાશની બાબતમાં વઘુ જણાવવાની એટલા માટે જરૂર નથી રહેતી કે અન્ય મીઠી (ગળી) વસ્તુને દ્રાક્ષની ઉપમા આપી તેની મીઠાશ દર્શાવવામાં આવે છે.
યુરોપ અને અમેરિકામાં દ્રાક્ષનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. દુનિયાભરમાં સૌથી વઘુ દ્રાક્ષ ફ્રાંસના દક્ષિણ ભાગમાં થાય છે. ત્યાં વિશાળ, લીલાછમ બગીચાઓ જોવા મળે છે. ભારતમાં દ્રાક્ષનું વાવેતર પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં ઘણા સમયથી થતું રહ્યું છે. પૂના, સતારા, નાસિક અને ખાનદેશ તેનો મુખ્ય પ્રદેશ મનાય છે. હવે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ છૂટક છૂટક દ્રાક્ષનું વાવેતર થાય છે. તેમાં ખેડા જિલ્લો મુખ્ય છે. દ્રાક્ષનું વાવેતર સારી કમાણી આપી શકે છે. તેના વેલા બે-ત્રણ વર્ષે ફળવા લાગે છે. જોકે વર્તમાન જગતની સંશોધન પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમથી આ ગાળો ઘટી શક્યો હોવાનું જોવા મળ્યું છે. ફેબુ્રઆરી અને માર્ચમાં લીલી દ્રાક્ષ-કાળી દ્રાક્ષ પુષ્કળ જોવા મળે છે. અને લોકો તેને મન અને પેટ ભરીને માણતા પણ જોવા મળે છે.
દ્રાક્ષની ઘણી જાતો છે. બેદાણા, મુનક્કા, કિસમીસ એ દ્રાક્ષની મુખ્ય જાતો છે. આ નામો સૂકી દ્રાક્ષ માટેના છે. લીલી દ્રાક્ષ એ સર્વસામાન્ય અને સુપાચ્ય જાત છે. કાળી દ્રાક્ષ, લાલ દ્રાક્ષ અને ધોળી દ્રાક્ષ તેવા પણ પ્રકારો જોવા મળે છે. તેમાંથી ધોળી દ્રાક્ષ વઘુ મીઠી અને મોંઘી હોય છે અને તે અપ્રાપ્ય કે સામાન્ય માણસોને ઓછી જોવા મળતી જાત છે. કાળી દ્રાક્ષ બધી જ પ્રકૃત્તિવાળા લોકોને, સર્વ રોગોમાં લાભપ્રદ અને ગુણકારી ગણાય છે. કાળી દ્રાક્ષમાંથી અનેક જાતની દવાઓ બનાવી શકાય છે. બે દાણા નામની જાત કંઇક અંશે ધોળી હોય છે અને તેમાં બી હોતા નથી. કિસમિસ બે દાણા જેવી જ પરંતુ પ્રમાણમાં નાની હોય છે. ભારત જેવા ગરમીવાળા દેશના લોકોની તરસ અને ભૂખનું શમન કરવામાં દ્રાક્ષ અમૃતનું કાર્ય કરે છે. વ્યાપકપણે જોવા અને ખાવા મળતી લીલી (તાજી) દ્રાક્ષ કંઇક અંશે કફકારક ગણાય છે. પરંતુ મીઠું અથવા સંિધવ સાથે ખાવાથી કફ થવાનો ભય રહેતો નથી. દ્રાક્ષ બધાને ખાવી ગમે છે. માંદા-સાજા અને સગર્ભા તથા પ્રસૂતા પણ દ્રાક્ષનું સેવન કરી શકે છે.
દ્રાક્ષના ગુણઃ
આયુર્વેદના ગ્રંથોમાં દ્રાક્ષની જાતો અને ગુણોનું ઠીકઠીક વર્ણન જોવા મળ્યું છે. દરેક ક્ષેત્રમાં થયેલી વૈજ્ઞાનિક ક્રાંતિ અને સાધન-સવલતોની ઉપ લબ્ધિઓના કારણે અનેક નવા સમીકરણો અને ઉત્પાદનો સર્જાયા છે. વનસ્પતિ ફળફળાદિ વગેરેના બિયારણોમાં પણ ઘણા પરિવર્તનો આવ્યા છે તેથી તેના ફળની ગુણવત્તા પર શું અસરો થઇ તે જોવું અને જાણવું એ અનુસંધાનનો વિષય છે. શાસ્ત્રીય મત મુજબ દ્રાક્ષ સારક ગુણવાળી, સ્વર (અવાજ)ને સારો કરનારી, મીઠા રસવાળી ને ચીકાશયુક્ત શીતળ ગુણ યુક્ત છે તે ઉત્તમ પથ્ય છે. તેથી કોઇપણ સ્થિતિમાં તે યુગોથી અપાતી આવી છે. તાવ, ક્ષય વગેરે રોગોમાં આવેલી અશક્તિમાં દ્રાક્ષ અને તેની બનાવટો અમૃત સમાન ફાયદાકારક છે. દ્રાક્ષ શીતવર્ય, રસ તથા વિપાકમાં મઘુર, પાછળથી સહેજ તૂરી, હર્ષદાયક, રોચક, તર્પણ (તૃપ્તિ કરનાર), વાયુનું અનુલોમન કરનાર, સ્નિગ્ધ, આંખોને હિતકર, કંઠ્ય તથા શ્રમહર છે. દ્રાક્ષ, તરસ, દાહ, તાવ, શ્વાસ, રક્તપિત, ક્ષત, ક્ષય, વાયુપ્રકોપ, પિતપ્રકોપ, ઉદાવર્ત, સ્વરભેદ, મહાભય, મોઢાની કડવાશ, મૂળશોખ, ઉધરસ, ઉલ્ટી, ભ્રમ, શોષ અને મૂત્રાવરોધનો નાશ કરનારી છે. શરીરને તુરંત શક્તિ અને તાજગી તથા તૃપ્તિ દ્રાક્ષથી મળે છે. હોજરી અને આંતરડામાં કે શરીરમાં અન્યત્ર થયેલા ચાંદાને (અમુક સ્થિતિએ હોય ત્યાં સુધી) દ્રાક્ષ રૂઝવી શકે છે. ત્વચા અને લોહીના રોગોને મટાડે છે. લોહીમાં રહેલી ખોટી ગરમી તથા વિકૃતિ દૂર કરી લોહીને સ્વસ્થ, નીરોગી અને શરીરને તાકાતવાન તથા સક્ષમ બનાવે છે.
યુનાની વૈદ્યોના મત મુજબ દ્રાક્ષ કફને પાતળો કરીને બહાર કાઢનાર મુખ્ય દવા છે. તે ઉપરાંત સ્ત્રીઓના માસિક ધર્મને તે નિયમિત કરે છે, કબજીયાત દૂર કરે છે. લોહી તથા માંસને વધારે છે. ખાટી-મીઠી અને દીપન-પાચનનું કામ કરતી દ્રાક્ષ ફેંફસા, યકૃત તથા મૂત્રાશયના રોગો અને જીર્ણજવરમાં લાભદાયક છે. દ્રાક્ષના બી શીતળ, કામોત્તેજક અને ગ્રાહી છે. તેના પાન હરસને મટાડે છે. દ્રાક્ષના વેલાની ડાળીઓ મૂત્રાશય, અંડકોષના સોજામાં ફાયદાકારક છે. તેના વેલાની ભસ્મ મૂત્રાશયની પથરીને ઓગાળીને કાઢવામાં મદદરૂપ થાય છે તેમ જ સાંધાની પીડા મટાડનાર તથા અર્શ - મસાના ભરાવા કે સોજાને માટે હિતકારી છે. આઘુનિક વિજ્ઞાનના મત મુજબ દ્રાક્ષમાં વિટામીન એ, બી અને સી તથા લોહતત્વ રહેલું છે. અન્ય પૌષ્ટિક દ્રવ્યોની સાથે-સાથે તેમાં પોટેશિયમ, સેલ્યુલોઝ, શર્કરા તથા કાર્બનિક અમ્લ હોવાથી તે કબજીયાત દૂર કરે છે. દ્રાક્ષના રસનું સેવન યકૃતને બળ આપે છે. દ્રાક્ષમાં શર્કરા અને કાર્બોહાઇડ્રેટ વિપુલ પ્રમાણમાં હોવાથી તેની પૌષ્ટિકતા અન્ય ફળોની સરખામણીએ ચઢિયાતી છે. વૈજ્ઞાનિકોમાં તે બાબતે થોડો વિખવાદ છે. અમુક નિષ્ણાતો દ્રાક્ષનાં પોષણમૂલ્યને ઊચું નથી ગણતા. પરંતુ તે મુદ્દો અત્રે અગત્યનો નથી.
જૂની કબજીયાતના દર્દીઓ માટે દ્રાક્ષનું સેવન એક ઉત્તમ ઔષધનું કાર્ય કરે છે. નિયમિતરૂપે દ્રાક્ષ ખાવાથી પાચક રસોના આલ્પતર સ્ત્રાવ યથાર્થ રીતે ઝરવાથી પાચન પણ સારી રીતે થાય છે અને કબજીયાત દૂર થાય છે. આજ કારણે ગુદાભંશ કે મસાના દર્દીઓને પણ દ્રાક્ષથી ફાયદો કે રાહત રહે છે. મસાએ કબજીયાતનું મુખ્ય પરિણામ છે. કબજીયાત ન રહે તો મસાનું દર્દ સહન થઇ શકે તેવું મર્યાદિત રહે છે. પરંતુ કબજીયાતની સ્થિતિમાં તે ભયંકર વેદનાનું છે, પરંતુ કબજીયાતનું નિવારણ થઇ જાય તો તેનો દુઃખાવો ઓછો કે નગણ્ય સ્થિતિમાં આવી જવાથી તેને કઢાવવાનું મોકૂફ રહી શકે છે. કદાચિત બંધ પણ રાખી શકાય છે. પિત્ત એ ગરમીયુક્ત શારીરિક દોષ છે. જે લોકોને પિત્તપ્રકોપ થયો હોય તેમણે દ્રાક્ષ ખાવાથી શરીરમાં થતી બળતરા મટે છે. ઊલ્ટી થતી હોય તો બંધ થાય છે. શરીરની નબળાઇ વઘુ હોય, વજન વધતું ન હોય, ચામડી શુષ્ક બની ગઇ હોય, આંખોમાં ઝાંખપ લાગતી હોય અને બળતરા રહેતી હોય તો દ્રાક્ષ ખાવાથી એ બધી ફરિયાદો દૂર થાય છે. દ્રાક્ષમાં રહેલ વિટામીન ‘સી’ના લીધે ચામડીના રોગો તથા સ્કર્વી જેવા રોગો સામે રક્ષણ મળે છે. મનોવૈચિત્ય શ્વાસ જેવા ફેંફસાના રોગોની સ્થિતિમાં અન્ય જે કંઇ દવા ચાલુ હોય તે ચાલુ રાખી સાથે સાથે દ્રાક્ષ કે તેની અન્ય કોઇપણ બનાવટોનું સેવન કરાવવું જોઇએ. અહીં દ્રાક્ષ ઔષધહારનું કાર્ય કરશે.
બધા ફળોમાં શ્રેષ્ઠ ગણાવાયેલી દ્રાક્ષ અમુક સ્થિતિમાં ન ખાવાની પણ સૂચના ઘણા શાસ્ત્રકારોએ આપેલી છે. જે લોકોને કફ, શરદી સળેખમ લાંબા સમયથી રહેતા હોય તેમણે દ્રાક્ષનો ઉપયોગ ન કરવો કે વિચારપૂર્વક મર્યાદિત માત્રામાં કરવો તેવી સલાહ છે. કેમકે દ્રાક્ષ સ્વભાવતઃ ઠંડી છે. તેથી જેને ઠંડી વસ્તુ માફક જ ન આવતી હોય તેમણે આવી બાબતે પોતાની શરીર પ્રકૃતિ અને જીવનપદ્ધતિ મુજબ મર્યાદિત પ્રમાણમાં દ્રાક્ષનો ઉપયોગ કરવો જોઇએ. આ ઉપરાંત ખાટી અને કાચી દ્રાક્ષ ન ખાવાનું પણ વિધાન છે. એકલી ખાવાની પણ સલાહ નથી કેમ કે તે સારક અને મૂત્રલ ગુણ ધરાવે છે તેથી અન્ય નિયમિત ખોરાકની સાથે-સાથે લેવાથી વજન વધારી શકે છે. પરંતુ માત્ર તે જ લેવાથી શરીરને કૃશ કરે છે. ધોયા વિનાની દ્રાક્ષ ન ખાવી. બને તો ગરમ પાણીથી ધોયા પછી જ તેનો ઉપયોગ કરવો જોઇએ. જેથી કચરો અને જંતુઓ તથા તેના ઉપર છાંટેલી દવાઓના અંશો નીકળી જાય.
ઔષધરૂપે દ્રાક્ષ
એક તોલો સૂંઠ, એક તોલો મરી, એક તોલો પીપર અને એક તોલો સંિધવ લઇ તેને ખાંડી તેનું કપડાથી ગાળેલુ ચૂર્ણ તૈયાર કરવું, પછી ચાલીસ તોલા કાળી દ્રાક્ષ (બી કાઢેલી) સાથે મેળવી ચટણીની માફક પીસીને બરણીમાં ભરી લેવું. આ તૈયાર થયેલ ચાટણને ‘પંચામૃત ચાટણ’ કહેવાય છે. આ ચાટણ અડધા તોલાથી બે તોલા જેટલું સવાર-સાંજ ચાટવાથી અરૂચિ, વાયુ, મંદાગ્નિ, કબજીયાત શૂળ, મોળ કફ વગેરે મટે છે.
ધોળી (બી વિનાની) દ્રાક્ષ તોલા લઇ તેને લીંબુના રસમાં વાટી તેમાં એટલું જ પાણી મેળવી એકરસ કરી વસ્ત્રથી તેનો રસ ગાળી લેવો. પછી તેમાં પાકા દાડમના દાણાનો ચાળીસ તોલા રસ મેળવવો. પછી તેમાં એંસી તોલા સાકર નાંખી ચાસણી કરીને શરબત બનાવવું. આ શરબત બે-અઢી તોલા પીવાથી રૂચિ પેદા થાય છે, પિત શમે છે અને મંદાગ્નિ મટે છે. કાળી દ્રાક્ષ રાત્રે પલાળી રાખવી. સવારે મસળી તેને ગાળીને તેમાં જીરાની ભૂકી અને સાકર નાંખીને પીવાથી શરીરની બળતરા મટે છે. એસિડિટી એ વર્તમાન સમાજનો વ્યાપક વ્યાધિ છે. આમ તો તે આઘુનિકતાની દોડાદોડની આડપેદાશ છે તેવું કહી શકાય. તેમાં પાછા જીભના અમર્યાદિત સ્વાદની ઝંખના તેને વધારવામાં મદદ કરે છે. દ્રાક્ષ અને વરિયાળી બબ્બે તોલા લઇ રાત્રે અડધા રતલ પાણીમાં ભીંજવી રાખવું. સવારે મસળીને ગાળી લેવું અને તેમાં એક તોલો સાકર નાખી પીવું. આવું થોડા દિવસ નિયમિત રીતે કરવાથી અમ્લપિત્ત- ખાટા ઓડકાર, ખાટી ઉલ્ટી, મોંના ચાંદા, છાતીની બળતરા તથા પેટનું ભારેપણુ વગેરે લક્ષણો શમી જાય છે. કબજીયાતના કાયમી દર્દીઓ જાતજાતની દવાઓના અખતરા કરતા રહે છે. તેમાં દવાના નામ બદલાયા કરે છે. રોગી અને રોગ જેના તે જ રહે છે. પરંતુ ત્રણ-ચાર તોલા કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે મસળી-ગાળીને પીવાથી લાંબા ગાળે કાયમી ફાયદો કરે છે. આયુર્વેદિક ઉપચારો એ એક-બે દિવસની રમત નથી તેનું અનુશીલન જરૂરી છે. બે દિવસ લઇને ‘‘આમાં મજા ન આવી’’ તેવું નિવેદન કરવાવાળા માટે અન્ય શાસ્ત્રીય કે શાસ્ત્ર બહારના થીગડાં મારવા એ જ ઉપાય છે. હવે બજારમાં મળતી દ્રાક્ષને ઘરમાં લાવશો અને આરોગ્ય જાળવશો તો આ લેખ વાંચ્યો સાર્થક ગણાશે.
Source: http://www.gujaratsamachar.com/20110320/purti/ravipurti/ravi31.html

No comments: