Tuesday, February 16, 2010

દીપડાના પાંજરામાં સાવજ સપડાયો.

Bhaskar News, Junagadh

વંથલીના સુખપુરની સીમમાં બે દિવસ પહેલાં ગૌશાળાની દીવાલ કૂદી એક ગાયનું મારણ કર્યુવંથલી તાલુકાના સુખપુર ગામની સીમમાં બે દિવસ પહેલા ગૌશાળાની દિવાલ કુદી ગાયનું મારણ થયું હતું. આ અંગે વનતંત્રને જાણ થતા ગૌ શાળા નજીક દીપડાને પકડવા મારણ સાથે પાંજરૂ મુકવામાં આવ્યું હતું. ગતરાત્રે સિંહ પાંજરે પુરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વંથલી તાલુકામાં અવાર નવાર દીપડાઓ પાંજરે પુરાતા હતા. પરંતુ સુખપુરમાંથી સિંહ પાંજરે પુરાતા તેને સક્કરબાગ લઈ જવાયો હતો.

આ અંગેની વધુ વિગત મુજબ વંથલી તાલુકાના સુખપુર ગામની ગૌશાળામાં બે દિવસ પહેલા એક ગાયનું મારણ થયું હતું. ગાયનું મારણ થતા ગ્રામજનોને એમ હતુ કે, દીપડાએ ગાયનું મારણ કર્યુ છે.

આથી દીપડાને પકડવા વનતંત્રને જાણ કરી હતી. વનતંત્રને જાણ થતા ગૌ શાળાની નજીક મારણ સાથે પાંજરૂ મુકવામાં આવ્યું હતું. ગત રાત્રીના ચારેક વાગ્યે એક સિંહની ડણક સંભળાતી હતી અને પાંચ-છ વાગ્યે આ સિંહ મારણ કરવા ગૌશાળા તરફ આવતા પાંજરે પુરાઈ ગયો હતો.

વહેલી સવારે દીપડાને બદલે સિંહ પાંજરામાં દેખાતા લોકોમાં આશ્ચર્ય થયું હતું. ગાયનું મારણ કરનાર સિંહ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વંથલી તાલુકામાં અવાર નવાર દીપડાઓ દેખા દેતા હોવાથી સુખપુરવાસીઓ દીપડાએ મારણ કર્યાનું અનુમાન કરતા હતા. પરંતુ મારણ કરવા આવેલો સિંહ પાંજરે પુરાઈ જતા ગામમાં ચર્ચા જાગી હતી.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/06/100206012849_leopard.html

No comments: